01 February, 2026 11:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ બજેટ પહેલા શું કહ્યું?
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે 11 વાગ્યે નવમી વખત કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. આ તેમનું સતત નવમું બજેટ હશે. અગાઉ, ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇએ નાણા પ્રધાન તરીકે 10 વખત બજેટ રજૂ કર્યું હતું.
કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્રીય બજેટ 2026 પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે તેમને બજેટથી વધુ અપેક્ષાઓ નથી, પરંતુ ઉમેર્યું કે આપણે જોવું પડશે કે બજેટમાં શું નવી વસ્તુઓ આવે છે. કૉંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ભારતીય અર્થતંત્રમાં માળખાકીય સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે બજેટમાં આ મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ. કૉંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે આપણે બધા નાણામંત્રી પાસેથી બજેટમાં શું છે તે સાંભળવાની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું, "આર્થિક સર્વે સારા આર્થિક વિકાસનો અંદાજ આપે છે, પરંતુ શું તે વિકાસ નોકરીઓ સાથે હશે? બેરોજગારી સાથેનો વિકાસ કોઈના માટે ફાયદાકારક નથી. અમે જોઈ રહ્યા છીએ કે સરકાર યુવાનો માટે રોજગારની તકો કેવી રીતે વધારે છે." તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ જોઈ રહ્યા છે કે કેરળમાં રાજકીય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તેમને શું લાભ આપે છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ એક ઐતિહાસિક બજેટ હશે અને વડા પ્રધાન મોદીના ‘રિફોર્મ એક્સપ્રેસ’ને વેગ આપશે. તેમણે કહ્યું કે આ બજેટ વિકસિત ભારત તરફ ઝડપી પ્રગતિનો માર્ગ મોકળો કરશે. ભાજપ નેતા ગુલામ અલી ખટાણાએ બજેટ વિશે કહ્યું, "વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે... નિર્મલા સીતારમણ અનુભવી છે અને પાછલી સરકારના બજેટ કરતાં વધુ સારું બજેટ રજૂ કરશે. આ બજેટ દરેક માટે હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, ડિજિટલ ઇન્ડિયા, ખેડૂતો અને સામાન્ય લોકો માટે... પીએમ મોદીએ વોકલ ફોર લોકલ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા દેશ યુવાનોને સોંપ્યો છે." રમતગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડે પણ બજેટ પર ટિપ્પણી કરતા કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચ વધતો રહેવો જોઈએ, કારણ કે તે રોજગાર અને આર્થિક વિકાસનો મુખ્ય સ્ત્રોત છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ બજેટ વિશે કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચ વધતો રહેવો જોઈએ, કારણ કે તે રોજગાર અને આર્થિક વિકાસનો મુખ્ય સ્ત્રોત છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 માં કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરી હતી, જેમાં રૂ. 12 લાખની વાર્ષિક આવક સુધી શૂન્ય ઇન્કમ ટૅક્સ રહેશે, તેમ જણાવ્યું હતું.