07 July, 2022 01:34 PM IST | Bangalore | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકના બાગલકોટના કેરુરમાં બુધવારે સાંજે બે જૂથો વચ્ચે અથડામણ બાદ હિંસા થઈ હતી, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. સ્થિતિને કાબુમાં લેવા શુક્રવાર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
એવું કહેવાય છે કે હિંસા બે જૂથો વચ્ચેની દલીલ બાદ શરૂ થઈ હતી. વિવિધ સમાજના લોકો સામસામે આવી ગયા હતા. કેટલીક જગ્યાએ આગ ચાંપવાની ઘટના પણ સામે આવી હતી. કેરુરમાં શાળા-કૉલેજોમાં રજા આપવામાં આવી છે.
બાગલકોટ કલેક્ટર સુનીલ કુમારે જણાવ્યું કે “કલમ 144 8 જુલાઈના રોજ સવારે 8 વાગ્યા સુધી લાગુ કરવામાં આવી છે. પોલીસે ઘટના સંદર્ભે 10 લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.”
તેમણે ઉમેર્યું કે “ઘટના પછી તરત જ બદમાશોનું એક જૂથ બજારમાં ઘૂસી ગયું અને વાહનોને આગ ચાંપી દીધી. એવું કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ એકબીજા પર મહિલાઓની છેડતીના આરોપો લગાવ્યા છે. આ અંગેની દલીલો હંગામામાં ફેરવાઈ ગઈ હતી.”