05 May, 2025 11:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એસ. જયશંકર
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધ્યો છે ત્યારે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે ‘ભારતને વિશ્વમાં ઉપદેશ આપનારા લોકોની નહીં, પણ સહયોગીઓની જરૂર છે. ખાસ કરીને બેવડું વલણ ધરાવતા લોકોની તો જરૂર જ નથી.’
ભારત એવા દેશો સાથે કામ કરવા માગે છે જે એકબીજા પ્રત્યે સન્માન અને સમજણની લાગણી ધરાવતા હોય એમ જણાવતાં એસ. જયશંકરે કહ્યું હતું કે ‘અમુક યુરોપિયન દેશો હજી પોતાનાં મૂલ્યો અને કાર્યો વચ્ચે તફાવત રાખી રહ્યા છે. જ્યારે અમે વિશ્વ તરફ નજર કરીએ છીએ ત્યારે સહયોગીઓની શોધ કરીએ છીએ, સલાહકારોની નહીં. ખાસ કરીને એવા સલાહકારો તો નહીં જ કે જે તેમના પોતાના ઘરમાં કોઈ કામગીરી કરી રહ્યા નથી અને તે વિદેશને ઉપદેશ (સલાહ) આપે છે. યુરોપ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. ભારત એવા દેશો સાથે કામ કરવા માગે છે જે પ્રમાણિકપણે વ્યવહાર અને સહયોગ આપતા હોય.’