09 August, 2025 02:35 PM IST | New delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
છ દાયકા જૂના આવકવેરા કાયદા ૧૯૬૧ને બદલવા માટે આ વર્ષે ૧૩ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવેલા આવકવેરા બિલ ૨૦૨૫ને કેન્દ્ર સરકારે ગઈ કાલે ઔપચારિક રીતે પાછું ખેંચી લીધું હતું. આ વિશેનો પ્રસ્તાવ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યો હતો.
BJPના સંસદસભ્ય બૈજયંત પાંડાની અધ્યક્ષતામાં સિલેક્ટ કમિટી દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની ભલામણોને સમાવિષ્ટ કરવા માટે બિલનું નવું સંસ્કરણ સોમવારે ૧૧ ઑગસ્ટે ગૃહમાં રજૂ કરવામાં આવશે.
આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘જૂનું બિલ પાછું ખેંચવાનો હેતુ કાયદાનાં બહુવિધ સંસ્કરણોને કારણે થતી મૂંઝવણ ટાળવા અને કાયદા ઘડનારાઓ પાસે બધા પ્રસ્તાવિત ફેરફારોને સમાવી લેતો એક જ સંકલિત ડ્રાફ્ટ તૈયાર કરવાનો હતો. ઇન્કમ-ટૅક્સ બિલના અપડેટેડ વર્ઝનમાં સિલેક્ટ કમિટીની મોટા ભાગની ભલામણોનો સમાવેશ થશે.’
બિહારમાં મતદારયાદીના ચાલુ સુધારા પર ચર્ચાની માગણી કરતા વિપક્ષી પક્ષો દ્વારા ભારે વિરોધ વચ્ચે ગઈ કાલે લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.