છત્તીસગઢ વિધાનસભામાં ધર્મપરિવર્તન માટે આજીવન કારાવાસની સજા આપતું બિલ પસાર

21 March, 2026 08:46 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

બિલનો હેતુ બળજબરી, પ્રલોભન, છેતરપિંડી અથવા ખોટી માહિતી દ્વારા ધર્મપરિવર્તન અટકાવવા અને સામૂહિક ધર્માંતરણ માટે આજીવન કેદની સજા કરવાનો છે

છત્તીસગઢ વિધાનસભાની સોશ્યલ મીડિયા પરથી લેવાયેલી તસવીર

છત્તીસગઢ સરકારે ધર્મપરિવર્તન વિરુદ્ધ ધર્મ સ્વતંત્રતા બિલ 2026 (ફ્રીડમ ઑફ રિલિજન બિલ 2026) પસાર કર્યું છે. એનો હેતુ બળજબરી, પ્રલોભન, છેતરપિંડી અથવા ખોટી માહિતી દ્વારા ધર્મપરિવર્તન અટકાવવા અને સામૂહિક ધર્માંતરણ માટે આજીવન કેદની સજા કરવાનો છે. નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્મા દ્વારા રજૂ કરાયેલા આ બિલને કૉન્ગ્રેસના બહિષ્કાર વચ્ચે ચર્ચા પછી મંજૂરી આપવામાં આવી હતી. આ બિલ સામે વિપક્ષ કૉન્ગ્રેસ પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો અને માગણી કરી હતી કે બિલને સમીક્ષા માટે પસંદગી સમિતિ પાસે મોકલવામાં આવે. પીઠાસીન અધિકારીએ તેમના વાંધાઓને ફગાવી દીધા હતા. આથી વિપક્ષી પાર્ટીઓએ વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ સરકારે વિધાનસભામાં બિલ પસાર કર્યું હતું.

વર્ષ ૨૦૦૦માં મધ્ય પ્રદેશમાંથી કાપીને આ રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે અપનાવવામાં આવેલા ૧૯૬૮ના કાયદાને આ બિલ બદલે છે. ૧૯૬૮ના કાયદાનો ઉલ્લેખ કરતાં વિજય શર્માએ કહ્યું હતું કે ‘એ કૉન્ગ્રેસના શાસન દરમ્યાન ઘડવામાં આવ્યો હતો.

આ બિલ એ જ કાયદાનું વિસ્તરણ છે. લગભગ ૬૦ વર્ષ વીતી ગયાં છે અને પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આશ્ચર્યજનક છે કે વિપક્ષ પોતે જ ઘડેલા કાયદાનો વિરોધ કરી રહ્યું છે. બધા ગુનાઓ દખલપાત્ર અને બિનજામીનપાત્ર હશે. જોકે બિલમાં જણાવાયું છે કે કોઈ પૂર્વજોના ધર્મમાં ઘરવાપસી કરે તો આ કાયદા હેઠળ એને ધર્માંતરણ ગણવામાં આવશે નહીં.’  

chhattisgarh national news news