25 April, 2026 09:38 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સ્થાપના બાદ આ શહેર ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને વારસાનું ભવ્ય પ્રતીક બની રહ્યું છે. શહેરમાં રામપથ, ભક્તિપથ અને ધર્મપથ પછી હવે દશરથપથનો ભવ્ય કૉરિડોર બનાવવામાં આવી રહ્યો છે. રાજા દશરથની સમાધિ તરફ લઈ જતો ૧૫ કિલોમીટર લાંબો દશરથપથ ફક્ત એક રસ્તો નહીં પરંતુ ઇતિહાસ, આધ્યાત્મિકતા અને કલાનો સંગમ હશે જે ભક્તોને સીધા રાજા દશરથની યાદો તરફ લઈ જશે.
સાકેત પેટ્રોલ-પમ્પથી બિલ્વહરી ઘાટ સુધીનો આ ૧૫ કિલોમીટર લાંબો માર્ગ એની ભવ્યતાથી બધાને મોહિત કરશે. રોડ-ડિવાઇડર પર ૩૦ વિશાળ સ્તંભો સ્થાપિત કરવામાં આવશે. આ સ્તંભોમાં ૧૫ યોગ હાથના હાવભાવ અને ૧૫ શસ્ત્ર હાવભાવ દર્શાવતી પ્રભાવશાળી મૂર્તિઓ હશે. આ લગભગ ૬ ફુટ ઊંચી કલાકૃતિઓ માર્ગને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વૈભવથી રંગશે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ઇચ્છા મુજબ આ પ્રોજેક્ટના સૌંદર્યકરણ પર આશરે ૮૫ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. દશરથપથના નિર્માણથી રાજા દશરથની સમાધિ સુધી પહોંચવાની સુવિધા મળશે.