અયોધ્યાના રામ મંદિરમાં ૧૦ દિવસની પ્રાયશ્ચિત્ત પૂજા શરૂ

18 July, 2026 09:21 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

વ્યવસ્થામાં થયેલી ચૂક બદલ ક્ષમાયાચના કરવા ૭૦ વૈદિક આચાર્યો દ્વારા મંત્રોચ્ચાર, હવન અને રુદ્રાભિષેક થઈ રહ્યા છે

અયોધ્યાના રામ મંદિરમાં ચાલતી પૂજા

અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીની ઘટના બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાયશ્ચિત્ત પૂજન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના પદાધિકારીઓનું માનવું છે કે મંદિરમાં દાનની ચોરી વ્યવસ્થામાં થયેલી ચૂક અને ખામીને કારણે થઈ હતી. આ ગુના બદલ વિધિ-વિધાનપૂર્વક શુદ્ધિકરણ કરીને ભગવાન પાસે ક્ષમા માગવા માટે વિશેષ અનુષ્ઠાન શરૂ કરાયું છે, જેમાં મંદિર પરિસરની અંદર અને બહાર કુલ ૭૦ વૈદિક આચાર્યો ભાગ લઈ રહ્યા છે.

રામ મંદિરના ગર્ભગૃહ અને પરકોટા સહિત પરિસરનાં અનેક સ્થળોએ આ ૧૦ દિવસીય પ્રાયશ્ચિત્ત પૂજન એકસાથે ચાલી રહ્યું છે. આ અનુષ્ઠાનમાં સામેલ આચાર્યો વૈદિક મંત્રોચ્ચાર, હવન, રુદ્રાભિષેક અને રામાર્ચન કરી રહ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર મંદિરમાં કોઈ પણ પ્રકારની અપવિત્રતા કે ચોરી જેવી ઘટના બને ત્યારે એની પવિત્રતા જાળવી રાખવા માટે પ્રાયશ્ચિત્ત પૂજન કરવામાં આવે છે. આ ચોરીની ઘટનાથી દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની આસ્થાને પણ ભારે ઠેસ પહોંચી છે.

રામ મંદિરની દાનચોરીના કેસમાં SIT હવે સુપ્રીમ કોર્ટને જ સોંપશે અહેવાલ

રામ મંદિરમાં થયેલી દાનચોરીની તપાસ કરવા ઉત્તર પ્રદેશ સરકારે નિયુક્ત કરેલી ત્રણ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તપાસ પૂરી કરવા માટે વધુ સમયની માગણી કરી છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતાં કોર્ટે રાજ્યને એક સપ્તાહની અંદર તપાસનો સ્ટેટસ-રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો તેમ જ રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ બન્ને પાસેથી જવાબ માગ્યો હતો. ઉલ્લેખનીય છે કે SIT પોતાનો અહેવાલ આગામી સોમવારે સીધો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે. આ અહેવાલ અત્યંત મહત્ત્વનો છે કારણ કે ૨૨ જુલાઈએ અયોધ્યામાં યોજાનારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં એની ભલામણો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે, જે મંદિરના મૅનેજમેન્ટમાં મોટા સુધારાનો આધાર બની શકે છે. 

બદ્રીનાથ મંદિરની દાનચોરીના મામલે ભૂતપૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ

ગઈ કાલે બદ્રીનાથ મંદિરમાં તપાસ માટે પહોંચેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ

બદ્રીનાથ મંદિરમાં દાનચોરીના મામલામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા મંદિરના ભૂતપૂર્વ ઑફિસર રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમ્યાન એકત્રિત કરવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે રાજેન્દ્ર ચૌહાણ મુખ્ય શંકાસ્પદ તરીકે સામે આવ્યા હતા. CCTV કૅમેરાનાં ફુટેજમાં તેઓ ૨૨, ૨૫ અને ૨૯ જૂનને રોકડનાં બંડલો એકઠાં કરીને પોતાના પૉકેટમાં મૂકતા હોવાનું માલૂમ પડ્યું હતું. ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર ૨૫ અને ૨૯ જૂનનાં ફુટેજની વધુ તપાસમાં અન્ય કેટલાક શંકાસ્પદોની પણ ઓળખ થઈ છે. જેમને આગામી સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે. 

ayodhya ram mandir national news news