ચૂંટણીપ્રચાર કરવો એ મૌલિક અધિકાર નથી, ખોટો દાખલો બેસાડવામાં આવશે

10 May, 2024 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેજરીવાલને વચગાળાના જામીન વિશે આજે ચુકાદો આવે એવી શક્યતા, EDએ કહ્યું...

અરવિંદ કેજરીવાલ

લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારોના પ્રચાર માટે સુપ્રીમ કોર્ટ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા કે નહીં એનો નિર્ણય આજે લેશે એ પહેલાં ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ સુપ્રીમ કોર્ટમાં એક ઍફિડેવિટ નોંધાવીને જણાવ્યું હતું કે ચૂંટણીપ્રચાર કરવો એ કોઈ મૌલિક, બંધારણીય કે કાનૂની અધિકાર નથી. EDએ કેજરીવાલને વચગાળાના જામીન મળે એનો વિરોધ કર્યો છે. 

EDએ ૨૧ માર્ચે અરવિંદ કેજરીવાલની દિલ્હી શરાબ-કૌભાંડમાં ધરપકડ કરી હતી. મંગળવારે આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના જ​સ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાએ કહ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલ એક ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે, રીઢા ગુનેગાર નથી. ચૂંટણી માથે છે એવા સમયે દિલ્હીના મુખ્ય પ્રધાન માટે આ અસાધારણ પરિસ્થિતિ છે.’ EDના ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે ‘કાયદો બધા માટે બરાબર છે અને ચૂંટણીપ્રચાર કરવો એ મૌલિક અધિકાર નથી. કોઈ પણ નેતાને ચૂંટણીપ્રચાર કરવા માટે જામીન અપવામાં આવ્યા નથી. આ રીતે જો તેમની પાર્ટીના ઉમેદવારોના ચૂંટણીપ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવશે તો એ ખોટો દાખલો બેસાડશે. કોઈ પણ રાજનેતા કોઈ વિશેષ દરજ્જાનો દાવો કરી શકે નહીં અને ગુનો કરનારા નેતાઓને પણ અન્ય નાગરિકોની જેમ જ પકડી લેવામાં આવે છે. માત્ર ચૂંટણીપ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન આપવા એ સમાનતાના નિયમની વિરુદ્ધ રહેશે. વળી કેજરીવાલ પોતે ચૂંટણી લડી રહ્યા નથી.’

EDએ દલીલ કરતાં કહ્યું હતું કે ‘દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૨૩ ચૂંટણી યોજાઈ છે અને જો ચૂંટણીપ્રચાર કરવા માટે આ રીતે વચગાળાના જામીન આપવામાં આવશે તો કોઈ રાજનેતાને જુડિશ્યલ કસ્ટડીમાં રાખી શકાશે નહીં, કારણ કે દેશમાં આખું વર્ષ ક્યાંક ને ક્યાંક ચૂંટણી થતી રહે છે.’ 

national news arvind kejriwal aam aadmi party Lok Sabha Election 2024