13 August, 2026 10:49 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વિદ્યાર્થી-આંદોલન
જંતર મંતર પર વિદ્યાર્થી-આંદોલનમાં ભાગ લેનારા યંગસ્ટર્સને સોશ્યલ મીડિયા પર ગટર જનરેશન કહેવા બદલ કંગના રનૌત કાનૂની મુશ્કેલીનો સામનો કરી રહી છે. આગરાના વકીલ રામશંકર શર્માએ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કંગનાના શબ્દોથી માત્ર વિદ્યાર્થીઓનું જ નહીં, પરંતુ તેમના સમગ્ર પરિવારનું અપમાન થયું છે.
રાજીવ ગાંધી બાર અસોસિએશનના પ્રમુખ રામશંકર શર્માએ સંસદસભ્યો અને વિધાનસભ્યોને લગતા કેસોની સુનાવણી કરતી ખાસ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. શર્માનું કહેવું છે કે કંગનાની કમેન્ટે હદ ઓળંગી છે; તેણે વિદ્યાર્થીઓના વિરોધની માત્ર ટીકા નથી કરી, પરંતુ તેમના ઉછેર અને તેમનાં માતા-પિતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટ ૨૧ ઑગસ્ટે કેસની સુનાવણી કરશે.
કંગના રનૌતે જેન-ઝીના નેતૃત્વ હેઠળનાં વિરોધ-પ્રદર્શનો સાથે જોડાયેલાં વિડિયો અને પોસ્ટ્સની ટીકા કરી હતી જેમાં સામગ્રીને ઉશ્કેરણીજનક ગણાવી હતી અને વિરોધીઓની ભાષા અને વર્તનને અશ્લીલ ગણાવ્યું હતું. બીજી પોસ્ટમાં તેણે યુવા, પશ્ચિમી ભારતીય મહિલાઓના એક વર્ગને ગટર જનરેશન તરીકે વર્ણવ્યા હતા અને તેમના શિક્ષણ, જીવનશૈલી અને વ્યક્તિગત પસંદગીઓ વિશે કમેન્ટ્સ કરી હતી.