૮૦થી વધુ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું કામ બંધ વસઈ-વિરારમાં, રજિસ્ટ્રેશન પણ નહીં થઈ શકે

10 September, 2026 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સેન્ટિવ FSIના નામે બિલ્ડરોને વધારે બિલ્ટ-અપ એરિયા ફાળવ્યા હોવાથી કૉર્પોરેશનની કાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર

વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC)એ ક્ષમતા કરતાં વધારાની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) મંજૂર કરવાના ગંભીર આક્ષેપો બાદ ૮૦થી વધુ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં થતું વધારાનું બાંધકામ તાત્કાલિક ધોરણે રોકી દીધું છે. આ ઉપરાંત VVCMC આ પ્રોજેક્ટ્સમાં ફ્લૅટ અને દુકાનોના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકીને સબરજિસ્ટ્રાર ઑફિસને એના સેલ-ડીડનું રજિસ્ટ્રેશન ન કરવાનો પણ આદેશ આપ્યો છે.

૨૦૨૦માં યુનિફાઇડ ડેવલપમેન્ટ કન્ટ્રોલ ઍન્ડ પ્રમોશન રેગ્યુલેશન્સ (UDCPR) લાગુ થયા બાદ વસઈ-વિરારમાં જૂનાં બિલ્ડિંગોના રીડેવલપમેન્ટના કામમાં તેજી આવી હતી. ૨૦૨૦થી ૨૦૨૫ દરમ્યાન તત્કાલીન VVCMC કમિશનર અનિલકુમાર પવાર અને ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડી કાર્યરત હતા. બાંધકામક્ષેત્રે થયેલા મોટા કૌભાંડ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા તાજેતરમાં જ આ બન્ને અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ અધિકારીઓના કાર્યકાળ દરમ્યાન મંજૂર કરાયેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં નિયમો વિરુદ્ધ જઈને ઇન્સેન્ટિવ FSIના નામે બિલ્ડરોને વધારે બિલ્ટ-અપ એરિયા ફાળવી નાણાકીય હેરાફેરી કરાઈ હોવાની ફરિયાદો મળી હતી. પુનઃ તપાસ દરમ્યાન ૮૦થી વધુ પ્રોજેક્ટ્સમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ બાંધકામની મંજૂરી અપાઈ હોવાનું સામે આવ્યું હતું.

બિલ્ડરોને તેમનો પક્ષ મૂકવાની તક મળશે
ટાઉન પ્લાનિંગ વિભાગે તમામ સંબંધિત ડેવલપર્સને નોટિસ મોકલીને વધારાની FSI હેઠળ થતા બાંધકામ પર રોક લગાવી દીધી છે. VVCMCએ બિલ્ડરો પાસેથી અત્યાર સુધી વેચાયેલા ફ્લૅટના દસ્તાવેજો અને વર્તમાન બાંધકામ સ્થિતિની વિગતો મગાવી છે. ડેવલપર્સને તેમની રજૂઆત કરવાનો મોકો આપવા માટે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સને ઑક્યુપન્સી સર્ટિફિકેટ (OC) આપી શકાય કે કેમ એ વિશે VVCMCએ રાજ્ય સરકાર પાસેથી માર્ગદર્શન માગ્યું છે.

mumbai news mumbai vasai virar city municipal corporation property tax real estate