મલાડ-કાંદિવલીના ૧૩૦ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ટલ્લે ચડશે?

01 February, 2023 07:40 AM IST  |  Mumbai | Bimal Maheshwari

કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન ડિફેન્સની ગાઇડલાઇન્સમાં...

મલાડ-કાંદિવલીના ૧૩૦ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ટલ્લે ચડશે?

મુંબઈ : મલાડ-ઈસ્ટમાં સંરક્ષણ મંત્રાલયના સેન્ટ્રલ ઑર્ડનન્સ ડેપો (શસ્ત્રાગાર)ની ફરતે ૫૦૦ મીટરના પરિસરમાં આવેલા રીડેવલપમેન્ટના ૧૦૦થી વધુ નિર્માણાધીન પ્રોજેક્ટ્સ ફરી એક વાર ઘોંચમાં પડી શકે છે. સંરક્ષણ મંત્રાલયે બહાર પાડેલી નવી ગાઇડલાઇન્સ પ્રમાણે આ શસ્ત્રાગારની ફરતે ૫૦૦ મીટરની હદમાં ઊભા થનારા નવા પ્રોજેક્ટ માટે શસ્ત્રાગારના સ્ટેશન કમાન્ડર પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવું અનિવાર્ય છે. ૨૦૧૬માં આ હદની મર્યાદા ૫૦૦ મીટરમાંથી ૧૦ મીટર કરવામાં આવી હતી.

આ નવી ગાઇડલાઇન્સને લીધે મલાડ અને કાંદિવલીમાંના આશરે ૧૩૦ નિર્માણાધીન પ્રોજેક્ટ્સને ફટકો પડશે અને આશરે ૧૦,૦૦૦ જેટલા રહેવાસીઓનું ભાવિ અધ્ધરતાલ થઈ જશે.

આ પરિસરમાંનાં જૂનાં અને જોખમી મકાનોમાં રહેતા રહેવાસીઓના તીવ્ર વિરોધ અને સ્થાનિક રાજકારણીઓની રજૂઆત બાદ ૨૦૧૬માં સંરક્ષણ મંત્રાલયે ૫૦૦ મીટરની હદની શરત ઘટાડીને ૧૦ મીટર કરી હતી, પણ હવે ૫૦૦ મીટરની શરત ફરી લાગુ પાડવામાં આવી છે.  

નવી ગાઇડલાઇન્સ મુજબ સેન્ટ્રલ ઑર્ડનન્સની ૫૦૦ મીટર ફરતેની હદમાં માત્ર ૪ માળ સુધીના પ્રોજેક્ટને સંરક્ષણ મંત્રાલયની મંજૂરી મળશે. વક્રતા તો એ છે કે અત્યારે ૫૦૦ મીટરની હદમાં અસંખ્ય ગગનચુંબી મકાનો વર્ષોથી ઊભાં છે અને આ મકાનમાંથી શસ્ત્રાગારમાં ડોકિયું પણ કરી શકાય છે. આ નવી સુધારિત ગાઇડલાઇન્સ શું કામ બહાર પાડવામાં આવી છે એ વિશે પાલિકાના અધિકારીઓ અને ડેવલપરો સદંતર અજાણ છે.

સંરક્ષણ મંત્રાલયે ૨૦૨૨ની ૨૩ ડિસેમ્બરે આ નવી ગાઇડલાઇન્સ બહાર પાડી હતી અને મહાપાલિકાના અધિકારીઓને મુદ્દાની ગંભીરતા જોતાં એનું કડકાઈથી પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ૪ માળથી ઊંચાં મકાનો આ શસ્ત્રાગાર માટે જોખમી પુરવાર થઈ શકે છે. ગગનચુંબી મકાનમાંથી શસ્ત્રાગારમાંની લશ્કરની હિલચાલ જોઈ શકાશે અને ત્યાંથી હુમલો પણ થઈ શકે છે.

મુંબઈ મહાપાલિકાના ચીફ એન્જિનિયર (ડેવલપમેન્ટ પ્લાન) સુનીલ રાઠોડે સંરક્ષણ મંત્રાલયના આદેશને સમર્થન આપતાં આ પત્રકારને કહ્યું હતું કે ‘અમે આ આદેશ સમીક્ષા માટે રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયને મોકલ્યો છે. મંત્રાલય જે અભિપ્રાય આપશે એ પ્રમાણે અમે ઍક્શન લઈશું. હજી સુધી અમે એકેય પ્રોજેક્ટને કામ બંધ કરવા વિશેની સ્ટૉપ વર્ક નોટિસ આપી નથી.’

તેમણે કહ્યું કે ‘સંરક્ષણ મંત્રાલયે હજી થોડા વખત પહેલાં જ સીમા ઘટાડીને ૧૦ મીટરની કરી હતી અને ફરી હવે ૫૦૦ મીટરની કરી એ અયોગ્ય છે. આને લીધે હજારો પરિવાર તકલીફમાં મુકાઈ જશે. શહેરી વિકાસ મંત્રાલય અમને જે સૂચના આપશે એનું અમે પાલન કરીશું.’

બૃહન્મુંબઈ ડેવલપર્સ અસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ હરીશકુમાર જૈને કહ્યું કે ‘આવતા ૧૫-૨૦ દિવસમાં આ આદેશ વિશે શહેરી વિકાસ મંત્રાલય પાસેથી સ્પષ્ટતા આવી જાય એવી શક્યતા છે. અમે પણ આ વિશે મહાપાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે આ આદેશને ધ્યાનમાં રાખીને પાલિકાએ બાંધકામની નવી પરમિશન અને ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવાનું બંધ કર્યું છે.

એક ડેવલપરે નામ ન છાપવાની શરતે કહ્યું કે ‘જો પ્રોજેક્ટ્સ રખડી પડશે તો અમને કરોડો રૂપિયાનંી નુકસાન થશે. એ સિવાય અમારે રહેવાસીઓનું ભાડું પણ બંધ કરવું પડશે. વારેઘડીએ હદની મર્યાદા બદલવામાં આવે એ અયોગ્ય છે. સંરક્ષણ મંત્રાલયે વાસ્તવમાં ઑર્ડનન્સ ડેપોને શહેરમાંથી બીજા કોઈ સલામત સ્થળે ખસેડવાની જરૂર છે. જો એમ થશે તો લાખો રહેવાસીઓને રાહત થશે. કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પરની બાલાસિનોર સોસાયટી પણ ૫૦૦ મીટરની હદમાં આવી જાય છે અને એને લીધે આ સોસાયટીની આસપાસ બનતા પ્રોજેક્ટ્સ પણ ઘોંચમાં મુકાઈ શકે છે.

સંરક્ષણ મંત્રાલયે ગાઇડલાઇન્સમાં કહ્યું છે કે ‘પ્રોજેક્ટ માટેની એનઓસી બિલ્ડર કે કોઈ ખાનગી પાર્ટીને ડેપોના સ્ટેશન કમાન્ડર દ્વારા આપવામાં નહીં આવે, પણ પાલિકા જેવી સરકારી સંસ્થાને જ એ અપાશે. સ્ટેશન કમાન્ડરના મત વિશેની જાણકારી પણ બિલ્ડરો કે કોઈ ખાનગી પાર્ટીને કરવામાં નહીં આવે. સ્ટેશન કમાન્ડરને કોઈ પ્રોજેક્ટ વિશે અસ્પષ્ટતા હશે તો તે તેના ઉપરીનો અભિપ્રાય લેશે. આ ઉપરી અધિકારી બ્રિગેડિયર કે એની ઉપરના હોદ્દાનો જ હોવો જોઈએ. સ્ટેશન કમાન્ડર દ્વારા આપવામાં આવેલી પરવાનગી લશ્કરના મુખ્યાલયની પરવાનગી વગર રદ કરી શકાશે નહીં. શસ્ત્રાગાર ફરતેની દીવાલથી ૫૦૦ મીટરની હદ નક્કી કરવામાં આવશે.

mumbai mumbai news malad kandivli brihanmumbai municipal corporation