ગરમ ઇસ્ત્રીને કપડાં પર જ છોડી દીધી એટલે સર્જાઈ કરુણાંતિકા?

13 August, 2026 07:04 AM IST  |  Mumbai | Ritika Gondhalekar

વિલે પાર્લેના બિલ્ડિંગમાં લાગેલી આગમાં બાટવિયા પરિવારના અઢી વર્ષના બાળક અને ૨૩ વર્ષની હાઉસ-હેલ્પના જીવ ગયા

મંગળવારે રાતે વિલે પાર્લે-વેસ્ટમાં શાંતા ભુવન બિલ્ડિંગના અગિયારમા માળે લાગેલી આગની વિકરાળ જ્વાળાઓ.

મંગળવારે મોડી રાતે વિલે પાર્લે-વેસ્ટમાં ૧૨ માળના શાંતા ભુવન બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. શાંતા ભુવન બિલ્ડિંગના અગિયારમા માળે ફ્લૅટમાં લાગેલી આગમાં અઢી વર્ષનું બાળક અને ૨૩ વર્ષની હાઉસ-હેલ્પ યુવતીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય ચાર રહેવાસીઓને ઈજા થઈ હતી. બચાવકામગીરી કરી રહેલા બે ફાયરમેન પણ ઘાયલ થયા હતા.
અંધેરી ફાયરબ્રિગેડના  સિનિયર સ્ટેશન ઑફિસર એ. એસ. ખાનોલકરે આપેલી માહિતી મુજબ ‘બિલ્ડિંગના અગિયારમા માળે રહેતા બાટવિયા પરિવારના ફ્લૅટ-નંબર ૧૧૦૨માં 
આગ લાગી એની થોડી મિનિટો પહેલાં હાઉસ-હેલ્પ તરીક કામ કરતી અંકિતા છેત્રીએ ગરમ ઇસ્ત્રીને કપડાંની ઉપર જ છોડી દીધી હતી અને કોઈ કારણસર રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. ગરમીને કારણે ઇસ્ત્રીમાંથી ભારે ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ આગ લાગી ગઈ હતી. આખો રૂમ ધુમાડાથી ભરાઈ ગયો હોવાથી અંકિતા બાળકને બચાવવા માટે રૂમમાં ગઈ હશે અને આગ અને ધુમાડાના કારણે દરવાજો લૉક થઈ ગયો હશે. અમે પહોંચ્યા ત્યારે દરવાજો લૉક હતો. દરવાજો તોડીને અંદર ગયા પછી અમે જોયું ત્યારે એક પણ બારી કે વેન્ટિલેટર શાફ્ટ ખુલ્લું નહોતું. બચવા માટે અંકિતા બાળકને લઈને બાથરૂમમાં જતી રહી હતી. અમે બાથરૂમમાંથી જ બન્નેને બહાર કાઢ્યા હતાં. જોકે આગ અૅર-કન્ડિશનર સુધી પહોંચી ગઈ હોવાથી પણ પરિસ્થિતિ વધુ બગડી હતી, જેના કારણે બન્ને બચી શક્યાં નહોતાં.’

પ્રાથમિક તપાસમાં બહાર આવેલું આ કારણ સાક્ષીઓના નિવેદન મુજબ તારવવામાં આવ્યું હોવાનું ઑફિસરે કહ્યું હતું. આગ લાગવાનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બે ઘાયલ ફાયર-અધિકારીઓ મનોજ સોનાવણે અને શિવમ દ્વિવેદીને સારવાર માટે નજીકની કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. મંગળવારે મોડી રાત્રે એક વાગ્યા સુધીમાં આગ ઓલવી નાખવામાં આવી હતી.

રહેવાસીઓને ખબર જ નહોતી કે ૧૦૧ નંબર પર ફોન કરાય?
આગ રાત્રે ૯ વાગ્યે લાગી હતી પણ અમને છેક એક કલાક પછી જાણ કરવામાં આવી હતી એવો દાવો અંધેરી ફાયરબ્રિગેડના  સિનિયર સ્ટેશન ઑફિસર એ. એસ. ખાનોલકરે કર્યો હતો, તેમણે કહ્યું હતું કે ફોન રહેવાસીઓએ કે વૉચમૅને નહોતો કર્યો. એ.એસ. ખાનોલકરના કહેવા મુજબ તેમને તો એ પણ નહોતી ખબર કે આગ લાગે ત્યારે ૧૦૧ નંબર પર ફોન કરવાનો હોય.

mumbai news mumbai vile parle fire incident mumbai fire brigade