કોસ્ટલ રોડના કામકાજને લીધે ચારકોપનાં બિલ્ડિંગોમાં થતી ધ્રુજારી- VJTI દ્વારા સૂચનો કરવામાં આવ્યાં

22 February, 2026 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોસ્ટલ રોડના કામકાજને લીધે ચારકોપનાં બિલ્ડિંગોમાં થતી ધ્રુજારી અને અવાજને ઓછો કરવા VJTI દ્વારા સૂચનો કરવામાં આવ્યાં

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટ માટે ટેસ્ટ પાઇલિંગ દરમ્યાન ચારકોપના રહેવાસીઓ દ્વારા નોંધાયેલી ધ્રુજારીને કારણે તેઓ ગભરાઈ રહ્યા હતા કે તેમનાં મકાનોને નુકસાન થશે કે કેમ?  એથી તેમણે એ વિશે બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયને રજૂઆત કરતાં તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર અને ચારકોપના રહેવાસીઓ સાથે બેઠક બોલાવી હતી અને નિવેદન પણ આપ્યું હતું. એ પછી શુક્રવારે પાલિકાના એન્જિનિયર્સે વીરમાતા જીજાબાઈ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ (VJTI)ના પ્રોફેસર અભય ભાંબોળે સાથે જે જગ્યાએ કોસ્ટલ રોડ માટે પાયા ગાળવામાં આવી રહ્યા છે એ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. 

નિરીક્ષણ-ટીમમાં નાગરિક, ઇજનેરો અને VJTIના પ્રોફેસર અભય ભાંબોળેનો સમાવેશ થતો હતો, જેમણે માટી-ધોવાણ અને ટેસ્ટ-પાઇલિંગનાં કામો દરમ્યાન ઉત્પન્ન થતા કંપન-સ્તરનું મૂલ્યાંકન કર્યું. નજીકનાં ઘરો પર ચાલી રહેલી પાઇલિંગ પ્રવૃત્તિની અસરનું મૂલ્યાંકન કરવા માટે ટેક્નિકલ રીડિંગ પણ લેવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમ્યાન અભય ભાંબોળેએ પ્રોજેક્ટ કૉન્ટ્રૅક્ટર લાર્સન ઍન્ડ ટૂબ્રોના એન્જિનિયરોને સુધારાત્મક પગલાં સૂચવ્યાં હતાં. આમાં ખાસ પાઇલિંગ સાધનોનો ઉપયોગ અને વધુપડતા અવાજ અને કંપનને ઘટાડવાના ઉદ્દેશ સાથે પાઇલિંગ રિંગને સ્થિર કરવા માટે JCB જેવી સપોર્ટ મશીનરીનો ઉપયોગ કરવા તેમણે જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મુલાકાત દરમ્યાન નોંધાયેલા રીડિંગમાં મામૂલી કંપનો જોવા મળ્યાં હતાં. અભય ભાંબોળેએ રહેવાસીઓને ખાતરી પણ આપી હતી કે ધ્રુજારી અથવા માળખાકીય અસરના પુનરાવર્તનને રોકવા માટે અનુગામી પાઇલિંગ-પ્રવૃત્તિ દરમ્યાન પૂરતી સાવચેતી રાખવામાં આવશે.

mumbai news mumbai Mumbai Coastal Road charkop mumbai suburbs