16 September, 2022 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
એનસીપી પ્રમુખ શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું કે વેદાંતા-ફૉક્સકોનનો સેમીકન્ડક્ટર પ્લાન્ટ મહારાષ્ટ્રની બહાર નહોતો જવો જોઈતો, પણ જૉઇન્ટ વેન્ચર કંપનીએ ગુજરાત પર પસંદગી ઢોળી દીધા બાદ હવે આ આકર્ષક પ્રોજેક્ટ રાજ્યમાં પાછો ફરવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
૧.૫૪ લાખ કરોડ રૂપિયાનો સેમી કન્ડક્ટર પ્લાન્ટ અગાઉ મહારાષ્ટ્રમાં સ્થપાવાનો હતો, એને બદલે હવે ગુજરાતમાં આકાર પામશે એવી બે દિવસ અગાઉ થયેલી જાહેરાતને પગલે વિરોધ પક્ષોએ એકનાથ શિંદે-બીજેપી સરકારની ઝાટકણી કાઢી છે.
પત્રકાર-પરિષદને સંબોધતાં શરદ પવારે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રને વેદાંતા-ફૉક્સકોન સેમીકન્ડક્ટર પ્લાન્ટ કરતાંયે વધુ મોટો પ્રોજેક્ટ મળશે એવી કેન્દ્ર સરકારે આપેલી ધરપત બાળકને ફોસલાવવાની કોશિશ સમાન છે.’
તેમણે કહ્યું હતું કે આ મેગા પ્રોજેક્ટ મૂળ પુણે નજીક તાલેગાંવમાં ઊભો કરવાનો હતો.
બે દિવસ પહેલાં વેદાંતા અને તાઇવાનની અગ્રણી ઇલેક્ટ્રૉનિક કંપની ફૉક્સકોને સંયુક્તપણે ગુજરાતમાં ૧.૫૪ લાખ કરોડનું સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે યુનિટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા હતા.