કાંદિવલીના બિલ્ડિંગમાં ૨૪ કલાકમાં બે સુસાઇડ

16 March, 2023 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૯ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલાએ ગળેફાંસો ખાધા બાદ ૧૯ વર્ષના યુવકે ૧૯મા માળેથી લગાવી મોતની છલાંગ

અજિંક્ય નરસિંહ રાજપૂતે ગુસ્સામાં ૧૯મા માળેથી પડતું મૂક્યું

કાંદિવલી-વેસ્ટમાં લાલજી પાડામાં લિન્ક રોડને અડીને આવેલા એસઆરએ બિલ્ડિંગમાં ૨૪ કલાકમાં બે લોકોએ આત્મહત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની છે. ૧૭મા માળે રહેતાં ૬૯ વર્ષનાં વૃદ્ધાએ ઘરમાં ગળેફાંસો ખાઈને મંગળવારે આત્મહત્યા કરી હતી. એના ચોવીસ કલાકની અંદર ૧૪મા માળે રહેતા ૧૯ વર્ષના કૉલેજિયન યુવકે ૧૯મા માળેથી ગઈ કાલે બપોરના ઝંપલાવીને પોતાના જીવનનો અંત લાવ્યો હતો. ચોવીસ કલાકમાં આવી બે ઘટના બનતાં સોસાયટીના રહેવાસીઓ ફફડી ઉઠ્યા છે.

કાંદિવલી પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલીમાં લિન્ક રોડ નજીક જય ભારત એસએસઆરએની ઇમારત આવેલી છે. મંગળવારે સાંજે આ બિલ્ડિંગના ૧૭મા માળે રહેતાં ૬૯ વર્ષનાં મીના મુરડકર નામનાં વૃદ્ધાએ તેના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાં કોઈક કારણસર કંકાસ થવાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

પોલીસે વધુમાં કહ્યું હતું કે ‘જય ભારત એસઆરએ બિલ્ડિંગમાં જ ૧૪મા માળે રાજપૂત પરિવાર રહે છે. ૧૯ વર્ષનો અજિંક્ય નરસિંહ રાજપૂત બપોરે મિત્રો સાથે રમીને ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાએ તેને બીકૉમ ફાઇનલની પરીક્ષા માથા પર હોવા છતાં ભણવાને બદલે કેમ રમે છે એમ કહીને વઢવાની સાથે લાફા ઝીંકી દીધા હતા. આથી અજિંક્ય ગુસ્સામાં ૧૯મા માળે ગયો હતો અને ત્યાંથી તેણે નીચે પડતું મૂક્યું હતું. પ્રાથમિક તપાસમાં આ માહિતી બિલ્ડિંગના રહેવાસીઓની પૂછપરછ પરથી મળી હતી.’

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિનકર જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જય ભારત એસઆરએ બિલ્ડિંગમાં મંગળવારે મીના મુરડકર નામની મહિલા અને આજે બપોરે અજિંક્ય રાજપૂત નામના યુવાને આત્મહત્યા કરી હોવાની નોંધ અમે લીધી છે. બંને મામલામાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

mumbai mumbai news kandivli