14 February, 2026 09:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનેત્રા પવાર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અજિત પવારના મૃત્યુ પછી મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી બનેલા સુનેત્રા પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો હવાલો સંભાળશે. મહારાષ્ટ્ર NCP માટે નવા પ્રમુખ અને બંને જૂથોના વિલીનીકરણ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, અજિત પવારના નજીકના સહયોગી અને NCPના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે સુનેત્રા પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે એકમાત્ર ઉમેદવાર છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેમને ટૂંક સમયમાં NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. શરદ પવારે કોંગ્રેસથી અલગ થયા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ની રચના કરી. ત્યારબાદ તેમણે તેના પ્રમુખ તરીકે સેવા આપી. જુલાઈ 2024 માં, NCP ના વિભાજન સમયે અજિત પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. આ સ્થિતિમાં, સુનેત્રા પવાર લગભગ 26 વર્ષ જૂની પાર્ટીના પ્રમુખનું પદ સંભાળશે. તે પાર્ટીના પ્રથમ મહિલા પ્રમુખ હશે.
પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સુનેત્રા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે એકમાત્ર ઉમેદવાર છે અને આ બાબતે સર્વસંમતિનો કોઈ પ્રશ્ન જ નથી. તેઓ નાયબ મુખ્યમંત્રી હોવાથી વિધાનસભા પક્ષનું નેતૃત્વ કરશે અને રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. આગામી બે અઠવાડિયામાં આ અંગે નિર્ણય લેવાની અપેક્ષા છે. પ્રફુલ્લ પટેલે બંને NCPના વિલીનીકરણ અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિલીનીકરણ પહેલા, NCP સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે પ્રફુલ્લ પટેલ પોતે NCP પ્રમુખ બની શકે છે. બાદમાં, પટેલે પોતે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. NCPની રચના શરદ પવારે પીએ સંગમા અને તારિક અનવર સાથે મળીને કરી હતી.
મહારાષ્ટ્રનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુનેત્રા પવારે તેમના પતિ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના અવસાનના ૧૩ દિવસ પછી મંગળવારે રાજ્ય સચિવાલયના મંત્રાલયમાં તેમનું પ્રધાનપદ સંભાળ્યું હતું અને કામકાજ ચાલુ કર્યું હતું. તેમની સાથે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ, ધનંજય મુંડે અને તેમનો મોટો પુત્ર પાર્થ પવાર પણ હતા.
સુનેત્રા પવારે મંગળવારે યોજાનારી કૅબિનેટની બેઠકમાં પણ હાજરી આપી હતી જે અજિત પવારના મૃત્યુ પછી પહેલી વખત યોજાનારી કૅબિનેટની બેઠક હતી. તેઓ ૨૩ ફેબ્રુઆરીની બજેટસત્ર માટે બિઝનેસ સલાહકાર સમિતિની બેઠકમાં પણ ભાગ લેશે. પુણે જિલ્લાના બારામતી ખાતે ૨૮ જાન્યુઆરીએ વિમાન-દુર્ઘટનામાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારનું મૃત્યુ થયું હતું. ૩૧ જાન્યુઆરીએ સુનેત્રા પવારે રાજ્યનાં પ્રથમ મહિલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા. તેમને રમતગમત, લઘુમતી કલ્યાણ અને વક્ફ બોર્ડ વિભાગોનો હવાલો સોંપવામાં આવ્યો છે અને બીડ અને પુણેના પાલક પ્રધાન પણ નિયુક્ત કરવામાં આવ્યાં છે. સુનેત્રા પવાર મંગળવારે વહેલી સવારે પુણેથી મુંબઈ પહોંચ્યાં હતાં અને તેમના મોટા પુત્ર પાર્થ સાથે દાદર વિસ્તારમાં ચૈત્યભૂમિ ખાતે બી. આર. આંબેડકરના સ્મારકમાં અને સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ તેમણે NCPની ઑફિસની મુલાકાત લીધી હતી અને મંત્રાલયમાં જતાં પહેલાં પાર્ટીના વિધાનસભ્યો અને પ્રધાનોને મળ્યા હતા.