02 February, 2026 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનેત્રા પવારે, વિદિપ જાધવનાં પત્ની સાથે આત્મિયતાથી વાત કરી હતી- તસવીર સોશ્યલ મીડિયા
મહારાષ્ટ્રના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા સુનેત્રા પવારે આજે સાતારા જિલ્લાના ફલટણમાં અજિત પવારના પર્સનલ સિક્યુરિટી ઓફિસર (PSO) વિદિપ જાધવના પરિવારની મુલાકાત લીધી હતી. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને બે નાના બાળકો છે. ઉલ્લેખનીય છે કે ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત ૫ લોકોના દર્દનાક મોત થયા હતા, જેમાં તેમની સાથે રહેલા PSO વિદિપ જાધવનું પણ અવસાન થયું હતું.
વિદિપ જાધવનું મૂળ ગામ ફલટણ નજીક તરડગાવ છે. આજે તેમના નિવાસસ્થાને પહોંચીને સુનેત્રા પવારે શોક વ્યક્ત કર્યો અને પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. આ મુશ્કેલ સમયમાં તેમણે જાધવની પત્નીનો હાથ પકડીને હિંમત અને સહારો આપ્યો હતો. આપને જણાવી દઈએ કે સુનેત્રા પવારે ૩૧ જાન્યુઆરીએ જ રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વિદિપ જાધવની પત્ની અને બાળકોના માથે સહાનુભૂતિપૂર્વક હાથ મૂકતા સુનેત્રા પવારે તેમને આશ્વાસન આપ્યું કે, "હું દરેક મુશ્કેલીમાં તમારી સાથે છું." આ અત્યંત ભાવુક ક્ષણે ત્યાં હાજર રહેલા સૌની આંખો ભીની કરી દીધી હતી. પોતાની સત્તાવાર ફરજો બજાવતા હોવા છતાં, ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારે જાધવ પરિવારના દુઃખને અપાર સંવેદના સાથે હળવું કરવાનો પ્રયાસ કર્યો હતો.
વિદિપ જાધવ મુંબઈ પોલીસની 2009 બેચના કર્મચારી હતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંગત સુરક્ષાકર્મી તરીકે PSO ની ફરજ બજાવતા હતા. વિદિપ જાધવ તેમના વિસ્તારમાં એક મળતાવડા અને સરળ સ્વભાવના વ્યક્તિ તરીકે જાણીતા હતા. પડોશીઓના જણાવ્યા મુજબ, વિદિપ દિલીપ જાધવ અત્યંત સાદા અને પ્રેમાળ સ્વભાવના હતા. તેમના પડોશી શ્રુતિ વાલેકરે જણાવ્યું કે ૨૮ જાન્યુઆરીની સવારે લગભગ ૬:૩૦ વાગ્યે તેમણે વિદિપ જાધવને ઘરેથી નીકળતા જોયા હતા. તેમણે ઉમેર્યું કે છેલ્લા ૨૭ વર્ષથી તેઓ તેમના પડોશી છે, પરંતુ ક્યારેય એવો અહેસાસ ન થયો કે તેઓ ડેપ્યુટી સીએમ અજિત પવારના હાઈ-પ્રોફાઈલ બોડીગાર્ડ છે. તેમના અચાનક આ રીતે ચાલ્યા જવાથી વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.