લ્યો બોલો! શરદ પવાર સામે રાષ્ટ્રીય અધિવેશન બેઠકમાંથી અધવચ્ચેથી નીકળ્યા અજીત પવાર

12 September, 2022 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાર્ટીના ટોચના નેતાઓમાંના એક અજિત પવારે આ પગલું ત્યારે લીધું જ્યારે શરદ પવાર ત્યાં મંચ પર હાજર હતા. આમ કરીને તેમણે રાષ્ટ્રીય અધિવેશનને સંબોધવાની તક પણ ગુમાવી દીધી.

અજિત પવાર (તસવીર સૌજન્ય મિડ-ડે)

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને NCP સુપ્રીમો શરદ પવાર(Sharad Pawar)ના ભત્રીજા અજિત પવાર(Ajit Pawar) રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનની બેઠકમાંથી અધવચ્ચેથી નીકળી ગયા હતા. પાર્ટીના ટોચના નેતાઓમાંના એક અજિત પવારે આ પગલું ત્યારે લીધું જ્યારે શરદ પવાર ત્યાં મંચ પર હાજર હતા. આમ કરીને તેમણે રાષ્ટ્રીય અધિવેશનને સંબોધવાની તક પણ ગુમાવી દીધી.

કૉન્ફરન્સમાં પાર્ટીના નેતા જયંત પાટીલને તેમની સામે બોલવાની તક મળતા જ અજિત પવાર થોડી જ ક્ષણો બાદ સ્ટેજ પરથી ઊભા થઈ ગયા અને ચાલ્યા ગયા હતાં. તેમના આ પગલાને કારણે પાર્ટીમાં ગરમાવો થવાની અફવાઓ અને અટકળો લગાવવામાં આવી રહી છે.

જો કે, બાદમાં મહારાષ્ટ્રના આ નેતાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ બેઠકમાં બોલ્યા ન હતા કારણ કે તે રાષ્ટ્રીય સ્તરની બેઠક હતી.

કોન્ફરન્સમાં જ્યારે એનસીપીના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલે સ્ટેજ પર જાહેરાત કરી હતી કે અજિત પવાર શરદ પવારની સમાપન ટિપ્પણી પહેલાં તેમનું સંબોધન આપશે, પરંતુ ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેમની બેઠક પરથી ગાયબ દેખાયા હતા.

આ પછી પ્રફુલ્લ પટેલે જાહેરાત કરી હતી કે અજિત પવાર વૉશરૂમમાંથી પાછા ફર્યા બાદ તેમનું સંબોધન કરશે. ત્યારબાદ કાર્યકરોએ મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રીના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા. આ દરમિયાન એનસીપી સાંસદ સુપ્રિયા સુલે અજિત પવારને મંચ પર લાવવા માટે સમજાવતી જોવા મળી હતી. આના થોડા સમય પછી જ્યારે અજિત પવાર સ્થળમાં પ્રવેશ્યા ત્યારે પાર્ટીના સુપ્રીમો શરદ પવારે તેમનું સમાપન ભાષણ આપવાનું શરૂ કર્યું. તેથી અજિત પવારને બોલવાની કોઈ તક મળી ન હતી.

sharad pawar ajit pawar maharashtra Mumbai mumbai news