27 November, 2025 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા ઘણા વખતથી અંબરનાથના રહેવાસીઓ દૂષિત પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ કરી રહ્યા હતા. જોકે તેમની એ ફરિયાદો કાને જ ધરાઈ નહોતી. હવે એવું બહાર આવ્યું છે કે થાણે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બૉર્ડ (MPCB) અને અંબરનાથ મહારાષ્ટ્ર ઇન્ડિસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) વચ્ચે થયેલા પત્રવ્યવહારમાં એ બાબતની નોંધ લેવાઈ છે કે જેમાંથી અંબરનાથના રહેવાસીઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે એ ચિખલોલી (જાંબિવલી) ડૅમ દૂષિત છે, એમાં ફૅક્ટરીઓનું વેસ્ટ વૉટર ડાયરેક્ટ ઠાલવવામાં આવી રહ્યું છે.
ઑફિસરોએ એ વાત માની છે કે ડૅમના પાણીની સમયાંતરે તપાસ અને ઇન્સ્પેક્શન કરીને ચકાસણી કરવામાં આવી હતી અને એના રિપોર્ટમાં કહેવાયું હતું કે ઇન્ડસ્ટ્રિયલ યુનિટ દ્વારા એમની કંપનીના વેસ્ટ વૉટર પર ટ્રીટમેન્ટ કર્યા વગર જ અથવા અડધી-પડધી ટ્રીટમેન્ટ કરીને સીધું જ એને ડૅમનાં પાણીમાં ઠાલવી દેવામાં આવતું હતું. એથી એ ઇન્ડસ્ટ્રિયલ યુનિટ બંધ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા હતા.