03 September, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ સબર્બન રેલવે નેટવર્ક પર મુસાફરો દ્વારા રેલવે-ટ્રૅક ઓળંગવાને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે રેલવે-પોલીસે એક મહત્ત્વનું પગલું ભર્યું છે. રેલવે-પોલીસે સમગ્ર નેટવર્ક પર અકસ્માત-સંભવિત એવાં ૩૮ મુખ્ય હૉટસ્પૉટ્સની સીધી જવાબદારી પોતાના હસ્તક લીધી છે. આ સ્થળોને સુરક્ષિત બનાવવા માટે રેલવે-પોલીસે રેલવે-પ્રશાસન અને સિનિયર ઑફિસરોને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે.
રેલવે-પોલીસે કરેલી માગણીઓમાં રેલવે-સ્ટેશનો પર મુસાફરો દ્વારા ટ્રૅક ઓળંગવા માટે વપરાતા તમામ ગેરકાયદે એન્ટ્રી પૉઇન્ટ તાત્કાલિક બંધ કરવા, ફેન્સિંગની ઊંચાઈ વધારવી, ટ્રૅકની આસપાસ ફેન્સિંગ ઊભી કરવી અને જ્યાં ફેન્સિંગ ઓછી ઊંચાઈની છે એની ઊંચાઈ વધારવી, તૂટેલી સંરક્ષણ દીવાલોનું તાત્કાલિક સમારકામ કરવાનો સમાવેશ થાય છે.
મુસાફરોની સુરક્ષિત અવરજવર માટે વધુ ફુટ ઓવર બ્રિજ (FOB), રોડ ઓવર બ્રિજ (ROB) અને સબવેનું નિર્માણ કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે. રેલવે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પ્રશાસન દ્વારા આ તમામ સુરક્ષા-કાર્યો વહેલી તકે પૂરાં કરાવવામાં આવે એ માટે પોલીસ વિભાગ દ્વારા સતત ફૉલો-અપ કરવામાં આવી રહ્યું છે.