NCPની વર્કિંગ કમિટીમાંથી પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેનાં નામ ગાયબ

13 May, 2026 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનેત્રા પવારે ચોખવટ કરતાં કહ્યું કે એ ક્લેરિકલ મિસ્ટેક હતી અને હવે સુધારી લેવામાં આવશે

પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં બધું સમુંસૂતરું ચાલી રહ્યું છે એવું નથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે. મૂળમાં NCPની વર્કિંગ કમિટીના પદાધિકારીઓની એક યાદી મીડિયાને હાથ લાગી હતી જેમાં પક્ષના સિનિયર નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેનાં નામ નહોતાં. એથી તે બન્નેને કમિટીમાંથી પડતા મુકાયાની વાતો વહેતી થઈ હતી. જોકે રાજકીય વર્તુળોમાં આ વાત ફેલાઈ જતાં એ બાબતનો ખુલાસો પણ પક્ષપ્રમુખ સુનેત્રા પવારે આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે એ યાદી બનાવતી વખતે ક્લેરિકલ મિસ્ટેક થઈ હતી અને હવે એ મિસ્ટેક જલદી સુધારી લેવામાં આવશે. 
અજિત પવારના અકસ્માતમાં થયેલા નિધન બાદ NCPના પક્ષપ્રમુખ તરીકે કોને ચૂંટવા એનો પ્રશ્ન ઊભો થયો હતો. જોકે ત્યાર બાદ સુનેત્રા પવારને પક્ષપ્રમુખ બનાવાયાં હતાં. એ દરમ્યાન એવા આરોપ પણ થયા હતા કે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ પક્ષનો કબજો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

ત્યારે જ ઇલેક્શન કમિશનને મોકલવામાં આવેલી પક્ષના પદાધિકારીઓની યાદીના પત્રનો ફોટો વાઇરલ થઈ ગયો હોતો. એમાં કમિટીમાં પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે સહિત દિલીપ વળસે પાટીલ અને છગન ભુજબળના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો નહોતો. એટલું જ નહીં, એ પત્રમાં વળી પાર્થ પવાર અને જય પવારના નામ સામે ચીફ સેક્રેટરી લખવામાં આવ્યું હતું. એથી આ બાબત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. જોકે એ પછી સુનેત્રા પવારે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે મીડિયામાં NCPના પદાધિકારીઓની જે યાદી ફરી રહી છે એમાં ક્લેરિકલ મિસ્ટેક રહી ગઈ છે અને એ વહેલી તકે સુધારી લેવામાં આવશે.

mumbai news mumbai nationalist congress party sunetra pawar praful patel political news maharashtra political crisis election commission of india