15 March, 2024 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઉત્તર મુંબઈ આવેલા કેન્દ્રીય પ્રધાન અને આ બેઠકના બીજેપીના ઉમેદવાર પીયૂષ ગોયલ કાંદિવલીના રઘુલીલા મૉલમાં કાર્યકર્તાઓની મીટિંગમાં અત્યારના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીને ભેટ્યા હતા. અનુરાગ અહિરે
ઉત્તર મુંબઈ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ કેન્દ્રના મિનિસ્ટર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી, કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ ઍન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન અને ટેક્સટાઇલ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલ ગઈ કાલે દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. તેઓ સાંજે ૪.૨૦ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ કારમાં સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા અને ગણપતિદાદાનાં ચરણે શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા. બાદમાં તેઓ દાદર રેલવે સ્ટેશન ગયા હતા. અહીંથી તેઓ લોકલ ટ્રેનમાં બોરીવલી ગયા હતા. અહીં એસ. વી. રોડ પર સ્વામી વિવેકાનંદના પૂતળાને હાર પહેરાવ્યો હતો. બાદમાં તેઓ રઘુલીલા મૉલના ચોથા માળે આવેલા બૅન્ક્વેટ હૉલમાં પક્ષના કાર્યકરોના સંમેલનમાં સામેલ થઈને તેમને સંબોધિત કર્યા હતા.