04 February, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાર્થ પવાર
અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમનાં પત્ની સુનેત્રા પવારને અજિત પવારની જગ્યાએ રાજ્યનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવાયાં હોવાથી તેમણે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમના દીકરા પાર્થ પવારને દિલ્હીમાં રાજ્યસભામાં મોકલવાના પ્રયાસો હાથ ધરાયા છે.
સુનેત્રા પવારની રાજ્યસભાની બેઠકનો કાર્યકાળ ૨૦૨૮ની ૪ જુલાઈએ પૂરો થવાનો હતો. હવે જો એ જ બેઠક પર પાર્થ પવારની નિયુક્તિ થાય તો બે વર્ષમાં તેમણે એ બેઠક ખાલી કરી આપવી પડે. એથી હવે પાર્થ પવાર ૬ વર્ષનો પૂરો કાર્યકાળ સભ્યપદ પર રહી શકે એવી બેઠક પર તેમની નિયુક્તિ કરવાની વિચારણા અને પ્રયાસ ચાલી રહ્યા છે.
અજિત પવારના નિધન પછી પાર્થ પવાર અને જય પવાર સક્રિય રાજકારણમાં વધુ જોડાશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. આ પહેલાં તેમણે બારામતીમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચાર-રૅલીમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જય પવાર પણ દિલ્હીમાં NCPનું પ્રતિનિધત્વ કરે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. પક્ષના નેતાઓની બેઠકમાં આ સંદર્ભે ચર્ચા થઈ હોવાનું બહાર આવ્યું છે.