"પહલગામ હુમલાના ૬ આતંકવાદીઓ ટૂંક સમયમાં BJPમા જોડાશે": સંજય રાઉતની ટીકાથી વિવાદ

31 May, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પહલગામના છ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી રહી નથી, કદાચ એટલા માટે કે એક દિવસ તમને ભાજપ કાર્યાલય તરફથી એક પ્રેસ રિલીઝ મળશે જેમાં કહેવામાં આવશે કે તે છ લોકો પાર્ટીમાં જોડાયા છે. તેથી, બધું ભૂલી જાઓ," રાઉતે કહ્યું.

સંજય રાઉત (ફાઇલ તસવીર)

ભારત દ્વારા પાકિસ્તાન અને તેમના આતંકવાદીઓ સામે કરવામાં આવેલા ઑપરેશન સિંદૂર બાદ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના UBT) ના નેતા સંજય રાઉત દ્વારા ભારતીય જનતા પાર્ટી (BJP) પર સતત ટીકા કરવામાં આવી રહી છે. તાજેતરમાં સંજય રાઉતે કરેલા બફાટથી રાજકીય વિવાદ સર્જાયો છે. શિવસેના યુબીટી નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે શુક્રવારે પહલગામ આતંકવાદી હુમલા અંગે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહારો કર્યા છે. મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા, રાઉતે 22 એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલા જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા, તેમાં સંડોવાયેલા છ આતંકવાદીઓને પકડવામાં વિલંબ પર પ્રશ્ન ઉઠાવ્યો.

"કદાચ આતંકવાદીઓ ભાજપમાં જોડાયા હશે, જેને લીધે જ તેમને હજી સુધી પકડવામાં આવી રહ્યા નથી. પહલગામના છ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી રહી નથી, કદાચ એટલા માટે કે એક દિવસ તમને ભાજપ કાર્યાલય તરફથી એક પ્રેસ રિલીઝ મળશે જેમાં કહેવામાં આવશે કે તે છ લોકો પાર્ટીમાં જોડાયા છે. તેથી, બધું ભૂલી જાઓ," રાઉતે કહ્યું.

ભાજપ નેતા રામ કદમે રાઉત પર વળતો પ્રહાર કરતા કહ્યું, "આ એકદમ હાસ્યાસ્પદ નિવેદન છે, અને તે આપણા સશસ્ત્ર દળોનું અપમાન છે." એક ન્યૂઝ ચૅનલ સાથે વાત કરતા, કદમે ઉમેર્યું, "ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત જેવા શિવસેના યુબીટી નેતાઓ પોતાનું મન ગુમાવી ચૂક્યા છે, અને તેમને માનસિક હૉસ્પિટલમાં દાખલ કરવા જોઈએ." શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા સંજય નિરુપમે રાઉતની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે તેઓ દરરોજ આવા હાસ્યાસ્પદ નિવેદનો આપે છે, પરંતુ સત્ય એ છે કે યુબીટી જૂથ લાંબા સમયથી ભાજપ સાથે હાથ મિલાવવા તૈયાર છે, પરંતુ ભાજપ તેમને લીલી ઝંડી આપી રહ્યું નથી. "શિવસેના-યુબીટી નેતાઓ હતાશામાં આવી નિવેદનો આપી રહ્યા છે," તેમણે ઉમેર્યું.

રાઉતે ભારતના પ્રતિનિધિમંડળની પણ ટીકા કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 200 દેશોની મુલાકાત લીધી. છતાં તેનો કોઈ ફાયદો થયો નહીં. યુદ્ધ પહેલા આપણા વિદેશ મંત્રી જયશંકરે દરેક દેશની મુલાકાત લીધી હોવા છતાં, તેનો કોઈ ફાયદો થયો નહીં. આનો અર્થ એ થાય કે સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને એટલા માટે તમારે આ કસરત કરવી પડે છે, એમ સાંસદ સંજય રાઉતે પ્રહાર કર્યો હતો. ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આમાં એક મોટી ખામી બતાવી છે. શું એવા દેશોમાં પ્રતિનિધિમંડળો મોકલવાની જરૂર છે જેનો ભારત કે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી? આ પ્રશ્ન સંજય રાઉતે પૂછ્યો છે. રાઉતે આ પ્રતિનિધિમંડળને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તરીકે ઉલ્લેખ કરીને એક સૂચન પણ કર્યું છે.

Pahalgam Terror Attack sanjay raut shiv sena bharatiya janata party operation sindoor mumbai news political news