19 September, 2022 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : અતુલ કાંબળે
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે એવી જાહેરાત કરી હતી કે રાજ્યમાં વ્યાપક ડેટા પૃથક્કરણ કરવા તેમ જ વિવિધ ક્ષેત્રો પર અભ્યાસ કરીને નિર્ણયો લેવા માટે નીતિ આયોગ જેવી જ એક સંસ્થાની સ્થાપના કરવામાં આવશે.
પત્રકારો સાથે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ ગઈ કાલે નીતિ આયોગના સીઈઓ અને અન્ય અધિકારીઓને મળ્યું હતું. એમાં વિવિધ સેક્ટર્સમાં અભ્યાસને આધારે નિર્ણય લેવા માટે નીતિ આયોગ જેવી સંસ્થાની સ્થાપના કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ સૂચનને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.’
મુખ્ય પ્રધાન અને નીતિ આયોગના અધિકારીઓ વચ્ચેની બેઠક દરમ્યાન સંપત્તિનું મુદ્રીકરણ, કૃષિમાં બ્લૉકચેઇન, વૈકલ્પિક ઈંધણ કે ઈવી નીતિમાં પરિવહન, બિનપરંપરાગત ઊર્જા, આરોગ્યસંભાળ અને કૃષિમાં ડ્રૉન વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.