News In Shorts: પહેલી ઑક્ટોબરથી મુંબઈ ઍરપોર્ટની ૩૦ ટકા ઇન્ટરનૅશનલ ફ્લાઇટ નવી મુંબઈ ઍરપોર્ટ પરથી ઑપરેટ થશે

28 August, 2026 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ 1ના રીડેવલપમેન્ટનું કામ શરૂ થવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પહેલી ઑક્ટોબરથી મુંબઈ આવતી ૩૦ ટકા ઇન્ટરનૅશનલ ફ્લાઇટ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ઑપરેટ થશે. પહેલી ઑક્ટોબરથી મુંબઈ ઍરપોર્ટ પરનાં ઍર ઑપરેશન્સ બદલાવાનાં હોવાની માહિતી આપવામાં આવી છે. મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ 1ના રીડેવલપમેન્ટનું કામ શરૂ થવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી મુંબઈ ઍરપોર્ટ પરનાં ઑપરેશન્સનું ભારણ ઓછું થઈ શકે અને ઍર ઑપરેશન્સ રાબેતા મુજબ ચાલુ રહી શકે. પચીસ ઑક્ટોબર પછી મુંબઈ ઍરપોર્ટનાં બધાં જ ઑપરેશન્સને ટર્મિનલ 2થી ઑપરેટ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં નેપાલથી તણાઈને આવેલા પાંચ હાથીઓને ઉગારી લેવાયા

નેપાલમાં આવેલા વિનાશક પૂરમાં ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ગિરિજાપુરી બૅરેજ નજીક પાંચ જંગલી હાથી તણાઈને આવ્યા હતા. એમાં ૩ મોટા હાથી અને બે બચ્ચાંનો સમાવેશ થતો હતો. પાણીનો પ્રવાહ એટલો ભયંકર હતો કે બચ્ચાં ડૂબી રહ્યાં હતાં, પરંતુ પોતાનો જીવ બચાવવાને બદલે મોટા હાથીઓએ એમનો સાથ છોડ્યો નહોતો. ઇન્ડિયન ઍડ્‌મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારી સુપ્રિયા સાહુએ આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૅર કરીને હાથીઓની અદ્ભુત હિંમતને બિરદાવી છે. હાથીઓ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈને બૅરેજના અત્યંત જોખમી વિસ્તાર તરફ ધસી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને સિંચાઈ વિભાગની ટીમે સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું.સિંચાઈ વિભાગે તાત્કાલિક બૅરેજમાંથી પાણીનો પ્રવાહ ઘટાડીને હાથીઓ માટે સુરક્ષિત સ્થિતિ નિર્માણ કરી હતી. પાણીનું જોર ઘટ્યા બાદ રેસ્ક્યુ ટીમે મહામહેનતે તમામ પાંચ હાથીઓને નદીકિનારે અને ત્યાંથી સુરક્ષિત જંગલ વિસ્તારમાં પહોંચાડ્યા હતા.

mumbai news mumbai navi mumbai airport mumbai airport