13 April, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના ફાતિમાનગરમાં આવેલા એક ભંગારના ગોદામમાં ગઈ કાલે સવારે સાડાચાર વાગ્યે ભીષણ આગ લાગી હતી. ગોદામમાં મોટા પ્રમાણમાં કપડાની ચિંદીનો સ્ટૉક કરવામાં આવ્યો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર-બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગમાં કોઈને ઈજા નથી થઈ.
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના મુંબઈ ઝોનલ યુનિટે છત્તીસગઢના જગદલપુર શહેરમાં દરોડો પાડીને ભારતીય પેંગોલિનનાં ભીંગડાંના ગેરકાયદે વેપારમાં સામેલ એક સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઑપરેશન દરમ્યાન ૧૬.૫૨૮ કિલો પૅન્ગોલિનનાં ભીંગડાં જપ્ત કરીને ૩ જણની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરંપરાગત દવાઓ અને લક્ઝરી ફૅશન માર્કેટમાં પૅન્ગોલિનનાં ભીંગડાંમાં ઔષધીય ગુણો હોવાની ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. આ આંતરરાષ્ટ્રીય માગને કારણે પૅન્ગોલિન વિશ્વમાં સૌથી વધુ તસ્કરી થતું સસ્તન પ્રાણી બની ગયું છે.
મુંબ્રામાં રવિવારે વહેલી સવારે એક જૂની ચાલમાં છતનું પ્લાસ્ટર અને સીલિંગ ફૅન તૂટી પડ્યાં હતાં. આ ઘટનામાં ૩૨ વર્ષનો યુવક અને તેની ત્રણ વર્ષની દીકરીને ઈજા થઈ હતી. આ ઘટના મુંબ્રા બાયપાસ રોડ પર ટોલનાકા પાસે આવેલી તાંબેવાડી ચાલમાં વહેલી સવારે ૩.૩૧ વાગ્યે બની હતી. ગ્રાઉન્ડ પ્લસ વન માળનું માળખું ધરાવતી આ જૂની ચાલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક રૂમમાં અચાનક છતનો ભાગ તૂટી પડ્યો હતો. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર બાળકીને પગમાં સામાન્ય ઈજા પહોંચી છે અને તેના પપ્પાને માથામાં વાગ્યું છે. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા હવે આ બિલ્ડિંગનું નિરીક્ષણ કરી જરૂરી સમારકામ કે સુરક્ષાનાં પગલાં લેવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે.
અંબરનાથની એક હોટેલમાંથી શુક્રવારે રાતે ૨૬ વર્ષની એક યુવતીનો મૃતદેહ સીલિંગ-ફેન સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હોટેલના સ્ટાફે આ બાબતે પોલીસને જાણ કરતાં તેમણે મૃતદેહનો તાબો લીધો હતો અને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો. એ યુવતી કોણ હતી, તેણે શા માટે આત્મહત્યા કરી, એ બાબતની વધુ તપાસ અંબરનાથ પોલીસ કરી રહી છે. સાથે જ તેની હત્યા થઈ છે કે નહીં એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.