04 March, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનંજય મુંડે
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી હતી એમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા ધનંજય મુંડેના નજીકના મનાતા વાલ્મીક કરાડ અને તેના સહયોગીઓનાં નામ સામે આવતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આથી વિરોધીઓ ધનંજય મુંડેના રાજીનામાની માગણી કરી રહ્યા છે. બીજી બાજુ ધનંજય મુંડેની પહેલી પત્ની કરુણા મુંડેએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે ‘૩ માર્ચ ૨૦૨૫ના દિવસે ધનંજય મુંડેનું રાજીનામું લેવામાં આવશે. હું અનશન કરવાની હતી, પણ બે દિવસ પહેલાં અજિત પવારે ધનંજય મુંડેનું રાજીનામું લખાવી લીધું છે જેની જાહેરાત ૩ માર્ચે કરવામાં આવશે.’
ધનંજય મુંડેએ અગાઉ કહ્યું હતં કે વાલ્મીક કરાડ દોષી ઠરશે તો પોતે રાજીનામું આપશે.
ઉલ્લેખનીય છે કે આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટસત્ર શરૂ થઈ રહ્યું છે જે ૧૩ દિવસ ચાલશે. ધનંજય મુંડેનું રાજીનામું લેવામાં આવશે તો તેઓ રાજ્યના બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની નજીકના નેતા છે એટલે તેમના માટે નીચાજોણું થઈ શકે છે.