05 March, 2021 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત (તસવીર સૌજન્ય: પલ્લવ પાલીવાલ)
ગત વર્ષે 14 જૂનના રોજ પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં આત્હત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કેસમાં તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આજે મુંબઈની NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
NCBએ આજે NDPS કોર્ટમાં આજે જે ચાર્જશીટ દાખલ કરી છે તે 12,000 પાનાની છે. એટલું જ નહીં એન્ટી-ડ્રગ્સ એજન્સીએ 50,000 પાનાની લાંબી ડિવીટ પણ સબમિટ કરી છે. 12,000 પાનાની ચાર્જશીટમાં આ કેસ સાથે જોડાયેલા લગભગ દરેક સેલેબ્ઝના નામ છે. બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને ભાઈ શૌવિક મુખ્ય આરોપી છે. આ ચાર્જશીટમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદન પણ જોડવામાં આવ્યા છે. અભિનેતાના ઘરનોકર દિપેશ સાવંત અને ભૂતપુર્વ મેનેજર સેમ્યુલ મિરાંડાના નિવેદન પણ છે. આમ કુલ 33 લોકોના નિવેદન આ ચાર્જશીટ સાથે જોડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ચાર્જશીટ 16/ 2020 કમ્પલેંટ કેસ મામલામાં દાખલ થઈ છે. NCBના જોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ચાર્જશીટ કોર્ટમાં લઈને પહોચ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણ મહિના બાદ NCB એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલી રહી હતી. સુશાંત પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી. આ આત્મહત્યા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI), નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સહિત પાંચ એજન્સી કરી રહી હતી.