06 May, 2026 01:04 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
આરોપી
પુણેના ભોર તાલુકાના નસરાપુરમાં ગયા અઠવાડિયે સાડાત્રણ વર્ષની બાળકી પર જાતીય હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. એ કેસમાં પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે ‘પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ૬૫ વર્ષના આરોપી ભીમરાવ કાંબળેએ બાળકીના મોઢામાં મોજું ખોસીને તેનું ગળું દબાવ્યું હતું જેને કારણે ગૂંગળામણ થતાં તેનું મૃત્યુ થયું હોવાનું અને શરીર પર ઈજા થઈ હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે.’
મજૂરીકામ કરતા આરોપીનો આ પહેલાંનો ક્રિમિનલ રેકૉર્ડ છે. ૧૯૯૮ અને ૨૦૧૫માં છેડતીના આરોપમાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં બન્ને કેસમાંથી તેને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
તાજેતરના આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આરોપીના પરિવાર અને ગામના લોકોએ તેને ફાંસીની સજા આપવામાં આવે એવી માગણી કરી છે.