20 November, 2019 11:48 AM IST | Mumbai | Arita Sarkar
ભોલે અપાર્ટમેન્ટ્સનો આંશિક ભાગ ધરાશાયી
ખાર-વેસ્ટના ભોલે અપાર્ટમેન્ટ્સનો આંશિક ભાગ ધરાશાયી થયો હોવાની ઘટનાને બે મહિના પસાર થઈ ગયા છે ત્યારે આ ઇમારતની બે ઊભી રહેલી વિન્ગને પણ જર્જરિત જાહેર કરવામાં આવી છે. સોસાયટીએ એક કૉન્ટ્રૅક્ટરની નિયુક્તિ કરી છે, જે બિલ્ડિંગનો બાકીનો ભાગ ધ્વસ્ત કરી રહ્યો છે.
ગઈ ૨૪ સપ્ટેમ્બરે આંશિક ભાગ ધ્વસ્ત થતાં બાકીની બે વિન્ગના રહેવાસીઓએ તેમનો સામાન ખસેડવાની પરવાનગી મેળવવા માટે એચ-વેસ્ટ વૉર્ડ-ઑફિસનો સંપર્ક કર્યો હતો. જોકે બિલ્ડિંગની જોખમી હાલતને કારણે મહાનગરપાલિકાના અધિકારીઓએ સોસાયટીને એની સ્થિતિ નક્કી કરવા માટે સ્વતંત્ર સ્ટ્રક્ચરલ ઑડિટ હાથ ધરવાનું જણાવ્યું હતું.
સ્ટ્રક્ચરલ ઑડિટમાં બિલ્ડિંગને જર્જરિત ઇમારતોની સી૧ (ખાલી કરવું, તાત્કાલિક ડિમોલિશન કરવું) શ્રેણીમાં મૂક્યું છે. અમે તેમને તેમનો સામાન હટાવવાની પરવાનગી આપી હતી, પરંતુ ઇમારત જીર્ણશીર્ણ હાલતમાં હોવાથી એનું ડિમોલિશન કરવું પડશે, એમ એચ-વેસ્ટ વૉર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : રેલવે પોલીસની કાબિલે તારીફ કામગીરી: તરત કામ ને સામાન પરત
મહાનગરપાલિકાના અધિકારીઓએ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટની કલમ-૩૫૪ હેઠળ સોસાયટીના સભ્યોને ગયા મહિને નોટિસ પાઠવી હતી અને ઇમારત અત્યંત જોખમી અને જર્જરિત સ્થિતિમાં હોવાથી એને તોડી પાડવાનો આદેશ કર્યો હતો. સોસાયટી દ્વારા નિયુક્ત કૉન્ટ્રૅક્ટરે આશરે બે અઠવાડિયાં અગાઉ ઇમારતને ધ્વસ્ત કરવાનું શરૂ કર્યું હતું અને રહેવાસીઓના મતે આગામી સપ્તાહની આસપાસ આ કાર્ય પૂરું થઈ જશે. જૂનું બાંધકામ હવે ધ્વસ્ત થઈ રહ્યું છે ત્યારે ભોલે અપાર્ટમેન્ટ્સના રહેવાસીઓએ હવે રીડેવલપમેન્ટ વિશે વિચારવું પડશે.