Mumbai Rains: રેડ એલર્ટ બાદ BMC દ્વારા મંગળવારે તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

19 August, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેડ એલર્ટ બાદ, BMCએ મંગળવારે મુંબઈમાં જાહેર અને ખાનગી બન્ને પ્રકારની તમામ શાળાઓ અને કૉલેજો માટે રજા જાહેર કરી હતી. સોમવારે પણ, ભારે વરસાદને કારણે મહાપાલિકાના અધિકારીઓએ બપોરે 12 વાગ્યાથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

ભારે વરસાદ પછી પાણી ભરાઈ જવાને કારણે અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો હતો. (તસવીર: ધીરજ ભોઈર)

મુંબઈમાં સોમવારે પણ સતત ચાર દિવસથી વરસી રહેલા વરસાદને લીધે ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા, વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો. શહેરના ઘણા ભાગોમાં માત્ર નવ કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો, જેમાં બપોર સુધીમાં વિક્રોલી 135 મીમી સાથે ચાર્ટમાં ટોચ પર હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બાદમાં શહેર માટે તેની ચેતવણીને ઓરેન્જથી રેડ એલર્ટમાં અપગ્રેડ કરી.

આદિત્ય ઠાકરેએ BMC પર નિશાન સાધ્યું

શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કામની ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે મુંબઈના રસ્તાઓ પર ‘કૌભાંડ’ને કારણે જલમગ્ન થઈ ગયા અને વરસાદની વહેલી ચેતવણી છતાં મહાનગરપાલિકાની તૈયારીઓ કરી નહીં. "છેલ્લા ત્રણ વર્ષથી BMC રાજ્ય સરકાર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિના ચલાવવામાં આવી રહી છે. ચૂંટણીનો અભાવ પણ જવાબદારીનો અભાવ છે," ઠાકરેએ કહ્યું. તેમણે માગ કરી કે પૂરનું સંચાલન કરવા માટે વધારાના મ્યુનિસિપલ કમિશનરો રસ્તાઓ પર હાજર રહે. ઠાકરેએ પૂછ્યું કે કેટલા પમ્પિંગ સ્ટેશનો સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહ્યા છે, કેટલા ડિવોટરિંગ પંપ તહેનાત કરવામાં આવ્યા છે અને આ વર્ષે કેટલા નવા પૂરના સ્થળો સામે આવ્યા છે. અગાઉના ઉદાહરણો ટાંકીને તેમણે નોંધ્યું કે, “મે મહિનામાં પણ અંધેરી સબવે અને SEEPZ માત્ર 10 મિનિટના વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા.” તેમણે ઉમેર્યું, “આશા રાખીએ કે BMC ફક્ત ડિઝાસ્ટર મૅનેજમેન્ટ રૂમમાં મુલાકાતીઓના ફોટા પોસ્ટ કરવા ઉપરાંત જવાબ આપશે.”

શાળાઓ, કોલેજો બંધ જાહેર

રેડ એલર્ટ બાદ, BMCએ મંગળવારે મુંબઈમાં જાહેર અને ખાનગી બન્ને પ્રકારની તમામ શાળાઓ અને કૉલેજો માટે રજા જાહેર કરી હતી. સોમવારે પણ, ભારે વરસાદને કારણે મહાપાલિકાના અધિકારીઓએ બપોરે 12 વાગ્યાથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

શહેરમાં જનજીવન ખોરવાયું

સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં, કુર્લા, પવઈ, અંધેરી, સાયન, માટુંગા, દાદર, ભાયખળા, ઘાટકોપર અને ચેમ્બુર સહિતના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. BMC એ શહેરભરમાં 400 થી વધુ ડીવોટરિંગ પંપ ચલાવ્યા હતા, અને બધા પમ્પિંગ સ્ટેશનો સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત હતા, જેના કારણે મોડી સાંજ સુધીમાં પૂરનું પાણી ઓસરી ગયું. સવારે 6 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે, IMD એ ચેમ્બુર (205 મીમી), દાદર (199 મીમી), વડાલા (183 મીમી), વર્લી (184 મીમી), વર્સોવા (192 મીમી), વિક્રોલી (191 મીમી), પવઈ (180 મીમી), ચિંચોલી (187 મીમી) અને અંધેરી (177 મીમી) માં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

પાણી ભરાવાના કારણે અંધેરી સબવેના બન્ને લેન બંધ હોવાથી વાહનોની અવરજવરને ભારે અસર થઈ હતી. ટ્રાફિક પોલીસે ઠાકરે બ્રિજ અને ગોખલે બ્રિજ પરથી વાહનોને ડાયવર્ટ કર્યા હતા. વાકોલા બ્રિજ, હયાત જંકશન અને ખાર સબવે નજીક પણ પાણી ભરાવાથી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.

mumbai news mumbai rains mumbai monsoon mumbai weather aaditya thackeray brihanmumbai municipal corporation