04 February, 2025 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રોજેરોજ મુંબઈ લોકલની ભીડમાં પ્રવાસ કરતા મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ‘મુંબઈની લોકલ ટ્રેનની ડિઝાઇનમાં હવે ફેરફાર કરવામાં આવશે. એમાં વધુ પ્રમાણમાં હવે હવાની હેરફેર થશે. વળી એ વધુ સ્પીડથી પણ દોડશે અને એના સસ્પેન્શનમાં પણ સુધારો કરવામાં આવ્યો હોવાથી વધુ આરામદાયક પ્રવાસ કરવો શક્ય બનશે.
રેલવે બજેટમાં મહારાષ્ટ્રને ૨૩,૭૭૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વળી મુંબઈ લોકલની ૨૩૮ વધુ ઍર-કન્ડિશન્ડ ટ્રેન પાઇપલાઇનમાં છે. બીજું બે ટ્રેન વચ્ચેનો સમયગાળો અત્યારે ૧૮૦ સેકન્ડ છે જે ઘટાડીને ૧૫૦ સેકન્ડ કરવાનો ઇરાદો છે જેથી દિવસ દરમ્યાન વધુ ૩૦૦ સર્વિસ દોડાવી શકાશે.
એ સિવાય કોંકણ રેલવેને ઇન્ડિયન રેલવે સાથે મર્જ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે જેથી આગળ જઈ ચાર રાજ્યો મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરલાને જોડી શકાશે. જોકે અત્યાર સુધી ગોવાએ જ એ માટે સંમતિ દર્શાવી છે.