27 December, 2021 10:00 AM IST | Mumbai | Rajendra B Aklekar
માટુંગાના ઝેડ ફુટઓવર બ્રિજ પર કાયમી બૅરિકેડ્સ મુકાયાં
ઈસ્ટ અને વેસ્ટ માટુંગાને જોડતા ઝેડ ફુટઓવર બ્રિજ પર ચાલીને જનારા રાહદારીઓને કનડતા સાઇકલચાલકોના ત્રાસનો હવે અંત આવશે. અત્યાર સુધી વેગથી જતા સાઇકલસવારો તેમ જ ફૂડ ડિલિવરી બૉય્સ આ પુલનો ઉપયોગ કરતા હતા.
જોકે હવે શનિવારથી આ બ્રિજ પર કાયમી ધોરણે સતત દેખરેખ સાથે કાયમી બૅરિકેડ્સ મૂકવામાં આવ્યાં છે.
આરપીએફ મુંબઈ વિભાગે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સાથે મળીને એક સર્વેક્ષણ કર્યું હતું, જેમાં કયા સ્થળેથી સાઇકલચાલકો બ્રિજ પર પ્રવેશ કરતા હોય છે એ શોધી કાઢ્યું હતું. આ વિસ્તારને કાયમી બૅરિકેડ્સની મદદથી બ્લૉક કરી દેવાયો છે એમ જણાવતાં મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે વધુમાં ઉમેર્યું હતું કે ‘૧૫ સાઇકલો
જપ્ત કરીને એના ચાલકો સામે કેસ નોંધવામાં આવ્યો છે તથા બૅરિકેડ્સને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવા આગામી ૧૦ દિવસ માટે બે વ્યક્તિને તહેનાત કરવામાં આવી છે. સાઇકલને ઉઠાવીને બ્રિજ પર લઈ જવી મુશ્કેલ બને એ માટે આ નવાં
બૅરિકેડ્સની સામે વધુ અવરોધકો બેસાડવામાં આવશે.’