મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ વકર્યો: કોલ્હાપુરમાં આજથી કલમ ૧૪૪ લાગુ

09 December, 2022 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સરહદ મુદ્દે મહા વિકાસ અઘાડીના કર્ણાટક સરકાર વિરોધી આંદોલન અને ગ્રામ પંચાયત ચૂંટણીને પગલે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ (Maharashtra Karnataka Border Dispute) ફરી એકવાર તેજ થયો છે. આ પૃષ્ઠભૂમિમાં, આજથી કોલ્હાપુર (Kolhapur) જિલ્લામાં જમાવબંદીનો આદેશ એટલે કે કલમ ૧૪૪ (Section 144) લાગુ કરવામાં આવી છે. કોલ્હાપુરમાં 15 દિવસ માટે કર્ફ્યુ રહેશે. આ સમયગાળા દરમિયાન પાંચથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ છે. તેમ જ સરઘસ અને સભાઓ પર પ્રતિબંધ રહેશે. ઉપલા જિલ્લા મેજિસ્ટ્રેટ દત્તાત્રય કવિતાકે ગઈકાલે (8 ડિસેમ્બર) કર્ફ્યુના આદેશો જાહેર કર્યા છે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

સરહદ મુદ્દે મહા વિકાસ અઘાડીના કર્ણાટક સરકાર વિરોધી આંદોલન અને ગ્રામ પંચાયત ચૂંટણીને પગલે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કર્ફ્યુ આદેશ કોલ્હાપુર જિલ્લામાં 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ, 1951ની કલમ 37ની પેટા-કલમ (1)a થી f અને કલમ 37(3) હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.

મહાવિકાસ આઘાડીનું આંદોલન

મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ મુદ્દા અને છત્રપતિ શિવાજી મહારાજના અપમાનના વિરોધમાં જિલ્લાના મહાવિકાસ આઘાડી નેતાઓએ શનિવારે (10 ડિસેમ્બર) કોલ્હાપુરમાં શાહુ સમાધિ સ્થળ પર વિરોધ કરવાની જાહેરાત કરી છે. મહા વિકાસ આઘાડીના નેતાઓએ સરહદવાસીઓ પર કર્ણાટક સરકારના અત્યાચાર અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. આ બેઠકમાં એનસીપીના નેતા હસન મુશ્રિમ, કૉંગ્રેસના સતેજ પાટીલ, જયશ્રી જાધવ, શિવસેનાના સંજય પવાર સહિત મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

છત્રપતિ શિવાજી મહારાજના વારંવાર થતા અપમાન, મહારાષ્ટ્રની બહાર જઈ રહેલા પ્રોજેક્ટ, મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ અને ખેડૂતોના પ્રશ્નોના વિરોધમાં મહા વિકાસ આઘાડી વતી 17 ડિસેમ્બરે રાજ્ય સરકાર વિરુદ્ધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: દીક્ષાની અનોખી ઉજવણી

મહારાષ્ટ્રના સાંસદો આજે પીએમ મોદીને મળશે

દરમિયાન મહારાષ્ટ્રના સાંસદો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. મહારાષ્ટ્રના ભાજપના સાંસદ આજે સવારે મોદી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. એવા અહેવાલ છે કે ભાજપના સાંસદ સરહદી મુદ્દાઓ અને રાજ્યપાલના નિવેદનોની ટીકા કરશે. આ સાથે વડાપ્રધાન મોદી અન્ય બે રાજ્યોના સાંસદો સાથે પણ વાતચીત કરશે.

mumbai mumbai news maharashtra karnataka