08 May, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુહુના પવનહંસ હેલિપૅડ પર લૅન્ડ થઈ રહેલું એકનાથ શિંદેનું હેલિકૉપ્ટર.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હેલિકૉપ્ટરે આજે ખરાબ હવામાનને કારણે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું. એકનાથ શિંદે મહાલક્ષ્મી રેસકોર્સ પરથી બપોરે ૩.૩૦ વાગ્યે કલ્યાણના મુરબાડ ખાતે પક્ષના એક કાર્યકરના પરિવારના લગ્નપ્રસંગમાં હાજરી આપવા રવાના થયા હતા. જોકે હેલિકૉપ્ટર નવી મુંબઈના ઐરોલી પહોંચ્યું ત્યારે પાઇલટને સામેથી વાવાઝોડું આવતું દેખાયું હતું. કાળાં વાદળો અને તોફાની પવન હોવાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇલટે એકનાથ શિંદેને સાવચેત કર્યા હતા, જેના પગલે તેમણે તરત જ મુંબઈ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ હેલિકૉપ્ટરનું જુહુના પવનહંસ હેલિપૅડ પર સુરક્ષિત લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.
મુરબાડમાં બાપગાવ હેલિપૅડ પર એકનાથ શિંદે ઊતરવાના હોવાથી ત્યાં સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેને પછીથી હટાવી લેવામાં આવ્યો હતો. હેલિકૉપ્ટરમાં એકનાથ શિંદે સાથે તેમના પર્સનલ અસિસ્ટન્ટ પ્રભાકર કાળે, ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી બાલાસિંહ રાજપૂત ઉપરાંત અન્ય ઑફિસર અને એવિયેશન કંપનીના અધિકારીઓ હતા. હેલિકૉપ્ટરના સેફ લૅન્ડિંગ બાદ એકનાથ શિંદે અને તેમની ટીમના સભ્યો તેમના નિવાસસ્થાન તરફ રવાના થયા હતા.