"મુંબઈમાં ફરી શો…`: કૉમેડિયન કુણાલ કામરાની મહારાષ્ટ્રના વિધાન ભવનમાં એન્ટ્રી

17 February, 2026 06:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મામલે આજે વિધાન ભવનમાં અધિકાર ઉલ્લંઘન સમિતિ સમક્ષ સુનાવણી થવાની હતી, પરંતુ કોઈ કારણોસર, આ સુનાવણી થઈ શકી નહીં. કુણાલ કામરા આજે આ સુનાવણી માટે વિધાન ભવનમાં આવ્યો હતો. આ વખતે તેણે શું કહ્યું ચાલો વિગતવાર જાણીએ.

કુણાલ કામરા

કૉમેડિયન કુણાલ કામરાએ ૨૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ તેના શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેની મજાક ઉડાવતું એક ગીત રજૂ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં હૅબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ, ભાજપના ધારાસભ્ય પ્રવીણ દરેકરે કુણાલ કામરા વિરુદ્ધ અધિકાર ઉલ્લંઘન પ્રસ્તાવ દાખલ કર્યો હતો. આ મામલે આજે વિધાન ભવનમાં અધિકાર ઉલ્લંઘન સમિતિ સમક્ષ સુનાવણી થવાની હતી, પરંતુ કોઈ કારણોસર, આ સુનાવણી થઈ શકી નહીં. કુણાલ કામરા આજે આ સુનાવણી માટે વિધાન ભવનમાં આવ્યો હતો. આ વખતે તેણે શું કહ્યું ચાલો વિગતવાર જાણીએ.

હવે આગામી સુનાવણી ૧૦ માર્ચે થશે

કુણાલ કામરાએ કહ્યું, “હું બંધારણનો આદર કરનાર વ્યક્તિ છું, કોઈ કારણોસર, આજે સુનાવણી થઈ શકી નહીં. જ્યારે મને ફરીથી બોલાવવામાં આવશે ત્યારે હું આવીશ. 10 માર્ચની તારીખ બિનસત્તાવાર રીતે આપવામાં આવી છે. હું ત્યારે આવીશ.” શિવસેનાના કાર્યકરોએ આ વિવાદમાં સ્ટુડિયોની તોડફોડ કરી હતી, ત્યારબાદ શું તે હવે સુરક્ષિત અનુભવે છે? આ અંગે બોલતા કુણાલે કહ્યું, ‘મને કોઈ હુમલાનો ડર નથી.’

શું કુણાલ મુંબઈમાં ફરી શો કરશે?

તે જે કહે છે તે જનતાને ગમે છે, પણ શાસકોને કેમ નહીં? આ પ્રશ્ન પર બોલતા કુણાલ કામરાએ કહ્યું, ‘શાસકોને જે ગમે છે તે હું કેમ કહું. તેના માટે બીજા લોકો પણ છે.’ ઉપરાંત, શું તે ફરીથી મુંબઈમાં કૉમેડી શોનું આયોજન કરશે? આ પ્રશ્ન પર કુણાલે કહ્યું, ‘હું ચોક્કસ તેનું આયોજન કરીશ.’ આ દરમિયાન, અગાઉની ઉલ્લંઘન નોટિસનો જવાબ આપતા કુણાલે કહ્યું હતું કે, ‘વ્યક્તિ ગમે તે હોય, ભલે તે સરકારમાં હોય કે ન હોય. તેની આવી કટાક્ષપૂર્ણ વ્યક્તિગત ટીકા કરવાથી વિધાનસભાની કામગીરીમાં અવરોધ નથી આવતો. મેં મારા ગીત દ્વારા કોઈપણ રીતે વિધાનસભાની કામગીરીમાં દખલ કરી નથી. આમાં, મેં ફક્ત ટીકા, વ્યંગ અને કલાનો ઉપયોગ કરીને મારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જો મેં આ ગીત દ્વારા મુખ્ય પ્રધાન કે નાયબ મુખ્ય પ્રધાનનું અપમાન કર્યું હોય, તો મારો હેતુ ગૃહનું અપમાન કરવાનો કે તેના સભ્યોને ઉશ્કેરવાનો નહોતો.’

સુષ્મા અંધારેએ શું કહ્યું?

વિરોધી પક્ષના નેતા સુષ્મા અંધારેએ કહ્યું, "કુણાલ કામરાએ જે કવિતા ગાઈ હતી તે `ધ હૅબિટેટ સ્ટુડિયો`માં ગાઈ હતી. ત્યારબાદ, હૅબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરવામાં આવી. હવે અમે તેમને પૂછી રહ્યા છીએ કે આરોપો શું છે. જોકે, આજે જે નિવેદન નોંધવામાં આવવાનું હતું નોંધવામાં આવ્યું નહોતું. કારણ કે મૂળ ફરિયાદીઓના નિવેદન પહેલા નોંધાઈ જવા જોઈએ. મૂળ ફરિયાદી પ્રવીણ દરેકર છે. જોકે, તેઓ અલગ પ્રવાસ પર છે. તેથી, તે નિવેદન નોંધવામાં આવ્યું નથી."

kunal kamra vidhan bhavan maharashtra government eknath shinde shiv sena mumbai news