12 April, 2022 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જુહુના ઇસ્કૉન મંદિરના ૩૪ વર્ષના સાધુ પ્રદ્યુમન દાસનું રવિવારે ઇલેક્ટ્રિક શૉક લાગતાં મૃત્યુ થયું હતું. ઉપરોક્ત ઘટના રવિવારે રાતે ૮ વાગ્યે બની હતી. મંદિરની પાછળ આવેલી લૉનમાં ભક્તો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. પ્રદ્યુમન દાસ પણ ત્યાં હતા. બહુ જ ગરમી હોવાથી તેમણે લૉનમાં રાખેલો પંખો પોતાની તરફ ફેરવવાની કોશિશ કરી હતી એ વખતે તેમને ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો અને તેઓ નીચે પટકાયા હતા. તેમને ત્યાર બાદ તરત અંધેરીની નિધિ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જુહુ પોલીસે આ ઘટના સંદર્ભે મંદિરમાં લાઇટની વ્યવસ્થા સંભાળતા કૉન્ટ્રૅક્ટરના સુપરવાઇઝર તેજરાજ કશ્યપ સામે કામમાં બેદરકારી દાખવવાનો ગુનો નોંધ્યો હતો.