કસારા લોકલમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો, બે મુસાફરો લોહીલુહાણ

25 April, 2026 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પથ્થરનો કાટમાળ અને ત્રણ મીટર લાંબો લોખંડનો સળિયો ઊછળીને ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે ઊભેલા મુસાફરો સાથે અથડાતાં મુસાફર ટ્રેનમાંથી નીચે પટકાયો : બ્લૉક વગર ટ્રૅક પર કામ કરવાની સેન્ટ્રલ રેલવેની ગંભીર ભૂલ

એક મુસાફરને લોખંડનો સળિયો માથા અને ચહેરાના ભાગે વાગતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો

સેન્ટ્રલ રેલવેના કસારા સેક્શનમાં રેલવેના કામ દરમ્યાન સર્જાયેલી એક ભયાનક દુર્ઘટનાએ મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચાલુ લોકલ ટ્રેનમાં રેલવે-ટ્રૅક પર ચાલી રહેલા કામનો ૩ મીટર લાંબો લોખંડનો સળિયો અને પથ્થરો ટ્રેનમાં ઘૂસી આવતાં બે મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ૩ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બુધવારે સાંજે ૪.૪૫ વાગ્યે ખર્ડી અને ઉંબરમાળી સ્ટેશનો વચ્ચે કસારા તરફ જતી લોકલ ટ્રેન પસાર થઈ રહી હતી. આ સમયે ટ્રૅકની બાજુમાં ટેકરીઓના સંરક્ષણ માટે નેટિંગ અને સ્લોપ પ્રોટેક્શનનું કામ ચાલી રહ્યું હતું. અચાનક પથ્થરનો કાટમાળ અને ૩ મીટર લાંબો લોખંડનો સળિયો ઊછળીને ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે ઊભેલા મુસાફરોને અથડાયો હતો.

એક મુસાફરને લોખંડનો સળિયો માથા અને ચહેરાના ભાગે વાગતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો અને ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. તેને ગંભીર હાલતમાં થાણેની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. ૨૪ વર્ષના અન્ય એક મુસાફરને સાથળના ભાગમાં ઈજા થઈ હતી.

બ્લૉક જાહેર કર્યા વગર ટ્રૅક નજીક કામ હાથ ધરનારા એન્જિનિયરિંગ વિભાગના ૩ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેલવે-અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે કામ દરમ્યાન પાળવામાં આવતા પ્રોટોકૉલનું ઉલ્લંઘન થયું છે. આ મામલે આંતરિક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. 

central railway chhatrapati shivaji maharaj terminus csmt train accident mumbai local train mumbai mumbai news