રેલવેએ ભંગાર વેચીને ૬૮૧૩.૮૬ કરોડ રૂપિયાની કમાણી કરી, ભાડા સિવાયની આવકમાં રેકૉર્ડ કર્યો

21 April, 2026 10:22 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રેલવેએ કમાણી વધારવા માટે મલ્ટિ-લેવલ કારપાર્કિંગ, મેડિકલ સેન્ટરો, ઈ-વ્હીલચૅર સેવાઓ, આરોગ્ય કિઓસ્ક, ગેમિંગ ઝોન અને પ્લૅટફૉર્મ બ્રૅન્ડિંગનો ઉપયોગ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રેલવેએ ૨૦૨૫-’૨૬ના નાણાકીય વર્ષમાં ભંગારના વેચાણ દ્વારા ૬૮૧૩.૮૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે એના ૬૦૦૦ કરોડ રૂપિયાના આંતરિક લક્ષ્યાંક કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. આ મુદ્દે રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂની અને બિનઉપયોગી સામગ્રીના નિકાલથી માત્ર આવકમાં વધારો થયો એટલું જ નહીં, ડેપો, યાર્ડ અને વર્કશૉપમાં જગ્યા પણ ખાલી થઈ છે જેને કારણે કાર્યક્ષમતા અને સ્વચ્છતામાં સુધારો થયો છે. 

ભારતીય રેલવે મુસાફરોનાં ભાડાં પરની એની નિર્ભરતામાં ઘટાડો કરીને વૈકલ્પિક આવકના સ્રોત વિકસાવી રહી છે. ભંગાર વેચીને અને અન્ય સ્રોતોનો ઉપયોગ કરીને રેલવેએ મુસાફરો પર વધારાનો નાણાકીય બોજ નાખ્યા વિના સ્ટેશન-સુવિધાઓમાં વધારો કર્યો છે. ટિકિટના વેચાણ સિવાયની અન્ય આવકમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૬૮ ટકાનો વધારો થયો છે અને એ ૨૯૦ કરોડથી વધીને ૭૭૭ કરોડ રૂપિયા થઈ છે. આ વૃદ્ધિનો મોટો હિસ્સો ૧૨૦ જનઔષધિ કેન્દ્રો અને રેલવે-સ્ટેશનો પર કાર્યરત બાવીસ પ્રીમિયમ બ્રૅન્ડ આઉટલેટ્સનો છે. વધારાની આવકનો ઉપયોગ મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે કરવામાં આવ્યો છે. એમાં સારી સ્વચ્છતા, અપગ્રેડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેશનો પર સુરક્ષાનાં પગલાં વધારવાનો સમાવેશ થાય છે.

કેન્દ્રની જનઔષધિ યોજના હેઠળ રેલવે-સ્ટેશનો પર સસ્તા દવાનાં આઉટલેટ ખોલવામાં આવ્યાં છે. આ પહેલ માર્ચ ૨૦૨૪માં ૫૦ કેન્દ્રોથી શરૂ થઈ હતી અને પછીથી ૧૫૦ આઉટલેટના લક્ષ્ય સાથે વિસ્તૃત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૧૨૦ કેન્દ્રો કાર્યરત થયાં છે.

રેલવેએ કમાણી વધારવા માટે મલ્ટિ-લેવલ કારપાર્કિંગ, મેડિકલ સેન્ટરો, ઈ-વ્હીલચૅર સેવાઓ, આરોગ્ય કિઓસ્ક, ગેમિંગ ઝોન અને પ્લૅટફૉર્મ બ્રૅન્ડિંગનો ઉપયોગ કર્યો છે.

mumbai news mumbai indian railways indian government