25 May, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓશિવરા ફર્નિચર માર્કેટથી હવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ઝડપથી પહોચી શકાશે.
ગોરેગામમાં મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું મુખ્ય કામ પૂરું થઈ ગયું છે. ડેડલાઇનો ચૂકી ગયા બાદ આખરે ૩૧ મે સુધીમાં આ પુલનું બાકીનું નાનું-મોટું કામ પણ પૂરું થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટના કૉન્ટ્રૅક્ટરને ડેડલાઇન ચૂકી જવા બદલ BMCએ દંડ ફટકાર્યો છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની અછતને કારણે બાંધકામના કાર્ય પર અસર પડી હોવાથી પુલનું કામ પૂરું કરવાની ડેડલાઇન અગાઉ ૩૦ એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. કૉન્ટ્રૅક્ટર ૩૦ એપ્રિલ સુધી લંબાવાયેલી ડેડલાઇનમાં કામ પુરું કરવામાં નિષ્ફળ ગયો હતો, જેને પગલે BMCએ પહેલી મેથી દરરોજ ૨૫,૦૦૦ રૂપિયા દંડ લાદવાનું શરૂ કર્યું હતું. જોકે ૧૨ મેથી દંડ વધારીને એક લાખ રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યો હતો. હવે એ કામ ૩૧ મે સુધીમાં પૂરું થવાની સંભાવના છે.
આ પ્રોજેક્ટ ૨૦૧૯માં શરૂ થયો હતો અને હવે લગભગ ૭.૫ વર્ષ સુધી લંબાયો છે. આ ફ્લાયઓવર એક્સ્ટેન્શનથી ઓશિવરા રિલીફ રોડ (ફર્નિચર માર્કેટ)થી ગોરેગામ-ઈસ્ટના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઝડપથી પહોંચી શકાશે. એ ગોરેગામમાં ટ્રાફિકની ભીડને હળવો કરવામાં અને અંધેરી અને ઓશિવરા વિસ્તારોમાંથી આવતા અને જતા મુસાફરો માટે કનેક્ટિવિટી પ્રદાન કરવામાં પણ મદદરૂપ થશે.
સિગ્નલ ઇન્સ્ટૉલેશન, વીજળીના થાંભલા સંબંધિત કામ, વરસાદના પાણીનું ડ્રેનેજ લૂપિંગ અને પેઇન્ટિંગ સહિત કેટલાંક ફિનિશિંગ કામો હજી બાકી છે. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે પુલના લોડ ટેસ્ટ રિપોર્ટની પણ હજી રાહ જોવાઈ રહી છે.