08 March, 2026 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નવી મુંબઈમાં ગૅસ-સિલિન્ડર માટેની લાઇનમાં ઊભેલા લોકો.
હાલ અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે એની અસર હવે મુંબઈગરાના ઘરમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થઈ રહ્યો હોવાથી ગૅસના સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છો. ઇન્ડ્યિન ઑઇલ કૉર્પોરેશને કહ્યું છે કે યુદ્ધને કારણે ક્રૂડના ભાવ વધી જતાં ગૅસ-સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં ઘરમાં વપરાતા રાંધણગૅસના ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમતમાં ૬૦ રૂપિયા અને ૧૯ કિલોના કમર્શિયલ ગૅસ-સિલિન્ડરની કિંમતમાં ૧૧૪.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એથી હવે મુંબઈમાં ઘરના રાંધણગૅસ માટે ૯૧૨.૫૦ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે કમર્શિયલ ગૅસ માટે ૧૮૩૫ રૂપિયા ચૂકવવા પડશે. સિલિન્ડર બુકિંગ કરાવ્યાના ૨૧ દિવસ બાદ ડિલિવર કરવામાં આવશે. જોકે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ જે લોકોને ગૅસ-સિલિન્ડર મળ્યાં છે તેમને જે ૩૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે એ ચાલુ રહેશે.
સોશ્યલ મીડિયામાં એવા રિપોર્ટ વહેતા થયા છે કે યુદ્ધના કારણે ગૅસ-સિલિન્ડરની સપ્લાય ઓછી થઈ જશે. એ બદલ દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને કહ્યું હતું કે ‘કારણ વગર અટકળો અને કાલ્પનિક ભય કે ડરને દર્શાવી લોકોમાં ગભરાટ ન ફેલાવો. એ દેશ માટે, સમાજ માટે સારું નથી. કેન્દ્ર સરકાર આ બાબતે કામ કરી રહી છે.’