08 July, 2023 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈમાં ગણેશોત્સવને હવે માત્ર ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ‘વન વિન્ડો’ પદ્ધતિ દ્વારા મૂર્તિ વિક્રેતાઓ માટે ઑનલાઇન નોંધણીની સુવિધા પૂરી પાડી છે. ગણેશચતુર્થીમાં પ્લાસ્ટર ઑફ પૅરિસ (પીઓપી)ના નિયમોને લઈને ગણેશમંડળોને રાહત મળી છે. મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પીઓપીનો વિકલ્પ સૂચવવા માટેની માર્ગદર્શિકા હજી જાહેર કરવામાં આવી નથી એથી ૪ ફુટથી ઉપરની ગણેશમૂર્તિઓ માટે પીઓપીનો ઉપયોગ કરી શકાશે, પણ ૪ ફુટથી ઓછી ઊંચાઈ ધરાવતી ગણેશમૂર્તિઓ માટે શાડુ માટી ફરજિયાત હશે. દરમ્યાન મૂર્તિ બનાવનારાઓ અને મૂર્તિ વેચનારાઓને ‘વન વિન્ડો’ પદ્ધતિથી ઑનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અત્યાર સુધી મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પીઓપીનો વિકલ્પ સૂચવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી નથી એથી મુંબઈમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળો આ વર્ષે ચાર ફુટની અને એથી વધુ મોટી ગણેશમૂર્તિ માટે પીઓપીનો ઉપયોગ કરી શકશે, પણ ચાર ફુટ નીચેની ગણેશમૂર્તિ શાડુ માટીની જ હોવી જોઈશે. બીએમસીએ ‘વન વિન્ડો’ પદ્ધતિ દ્વારા મૂર્તિ બનાવનારાઓ અને મૂર્તિ વેચનારાઓ માટે ઑનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરી છે. પીઓપીની મૂર્તિઓ મોટા પાયે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે એથી છેલ્લા ઘણા સમયથી પીઓપીની ગણેશમૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવાની તમામ સ્તરેથી માગણી ઊઠી છે એટલે ઊંચી ગણેશમૂર્તિઓની સ્થાપના કરતાં ગણેશોત્સવ મંડળો સામે પ્રશ્નાર્થચિહ્ન ઊભો થતો હોવાથી અનેક મંડળો સરકાર સમક્ષ ‘પીઓપી’નો વિકલ્પ આપવાની માગણી કરી રહ્યાં હતાં. મૂર્તિ બનાવનારાઓને પોલીસ, ટ્રાફિક-પોલીસ અને ફાયર બ્રિગેડ પાસેથી પરવાનગી માટે એક વિન્ડો પર ઑનલાઇન ફૉર્મ મળશે જેથી તેમને આ પરવાનગી માટે અલગ અરજી કરવાની જરૂર નહીં પડે. જોકે એ માટે ૧૦૦૦ રૂપિયા ડિપોઝિટના ભરવાના રહેશે.