08 January, 2026 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ચાંદીવલીમાં સાકીવિહાર રોડ પર આવેલા નારાયણ પ્લાઝા બિલ્ડિંગમાં ગઈ કાલે સાંજે આગ લાગવાથી બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીના જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ પ્લસ ૪ માળના કમર્શિયલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગ્યા બાદ આખા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો જેને કારણે બચાવ-કામગીરીમાં મુશ્કેલી પડી હતી.
ફાયર-બ્રિગેડના અધિકારીઓને બચાવ-કામગીરી દરમ્યાન ત્રીજા માળે એક ઑફિસમાં બે લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જોકે હૉસ્પિટલ પહોંચતાં જ બન્ને વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવી હતી. આગના કારણે ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટૉલેશન, લિથિયમ-આયન બૅટરી, ઑફિસની ફાઇલો, ફર્નિચર, લાકડાનાં પાર્ટિશનો, કાચની બારીઓ, દરવાજા અને ફૉલ્સ સીલિંગને અસર થઈ હતી. આગ લગવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.