10 August, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
નારિયેળી પૂર્ણિમાની ઉજવણી કોળીબંધુઓ સાથે કરવા માટે શિવસેના-UBTના નેતા આદિત્ય ઠાકરે અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે એકસાથે વરલી પહોંચ્યા હતા.
વરલી આદિત્ય ઠાકરેનો મતવિસ્તાર છે, પરંતુ આદિત્ય ઠાકરે કરતાં પહેલાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. ત્યાર બાદ આદિત્ય ઠાકરે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. બન્ને નેતાઓ જ્યારે એકબીજાની સામે આવ્યા ત્યારે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ કાર્યકરોમાંથી કોઈએ સૂત્રોચ્ચાર કર્યા ત્યારે આદિત્ય ઠાકરે ગુસ્સે થઈ ગયા હતા. તેમના મતવિસ્તારમાં એકનાથ શિંદેના આગમન વિશે પ્રશ્ન પૂછતાં આદિત્ય ઠાકરેએ આ વાતને મહત્ત્વ ન આપવાનું જણાવ્યું હતું.
સોન્યાચા નારળ સોનેરી દરિયાલા
નારિયેળી પૂર્ણિમા નિમિત્તે ગઈ કાલે માછીમાર સમાજે દરિયામાં નારિયેળ પધરાવીને દરિયાદેવની પૂજા કરી હતી અને ત્યાર બાદ કોળી-ડાન્સ કરી નાચી-ગાઈને સેલિબ્રેશન કર્યું હતું. મહિલાઓ નવવારી સાડી, નાકમાં નથ અને ગળામાં ઘરેણાં અને હાથમાં બંગડી પહેરીને પરંપરાગત ડ્રેસમાં પહોંચી ગઈ હતી. નાનાં ભૂલકાંને પણ તેમની ટિપિકલ ઓળખ સમી ઊનની ટોપી પહેરાવી હતી. વરલી કોલીવાડામાં મહિલાઓ દરિયાદેવને નારિયેળ અર્પણ કરતી અને નવી મુંબઈમાં મજા કરતી જોવા મળી હતી.