26 February, 2026 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ અંબાણી
રિલાયન્સ કમ્યુનિકેશન્સ દ્વારા લોન-ડિફૉલ્ટની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ બિઝનસમૅન અનિલ અંબાણીના ૩૭૧૬ કરોડ રૂપિયાના પાલી હિલ ખાતે આવેલા બંગલાને ટાંચમાં લીધો છે. આ કેસમાં અત્યાર સુધી કુલ ૧૫,૭૦૦ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી જપ્ત કરવામાં આવી છે.
રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom) દ્વારા લોન-ડિફૉલ્ટ સાથે જોડાયેલા મની-લૉન્ડરિંગના કેસની તપાસના ભાગરૂપે EDએ રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણીના ૧૭ માળના પાલી હિલના નિવાસસ્થાન ‘અબોડ’ને કામચલાઉ ધોરણે ટાંચમાં લીધું છે. એજન્સીના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (PMLA), ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ આ બિલ્ડિંગ ટાંચમાં લેવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જ મિલકતનો ૪૭૩.૧૭ કરોડ રૂપિયાની કિંમતનો એક ભાગ અગાઉ ટાંચમાં લેવામાં આવ્યો હતો.
RCom અને એની ગ્રુપ-કંપનીઓએ સ્થાનિક અને વિદેશી ધિરાણકર્તાઓ પાસેથી લોન લીધી હતી, જેની કુલ બાકી રકમ લગભગ ૪૦,૧૮૫ કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પાલી હિલની મિલકતને અંબાણી પરિવારના એક પ્રાઇવેટ ફૅમિલી ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પગલું કૌટુંબિક સંપત્તિને જાળવવા અને RComની લોન માટે અંબાણી દ્વારા બૅન્કોને આપવામાં આવેલી કરોડો રૂપિયાની ગૅરન્ટીમાંથી ઊભી થતી વ્યક્તિગત જવાબદારીઓથી મિલકતને બચાવવા માટે હતું.