31 August, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા અમેરિકામાં હિન્દુ ધર્મની વ્યાપકતા અંગે કરાયેલા નિવેદન બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે સહનશીલતા એ હિન્દુત્વનો આત્મા છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સહનશીલતાનો અર્થ એવો પણ નથી કે કોઈના આક્રમણ કે હુમલાનો જવાબ ન આપવો. ન્યુ યૉર્કમાં યોજાયેલી ‘વન વર્લ્ડ : વન હ્યુમૅનિટી’ સમિટને સંબોધતાં RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે જો કોઈ હિન્દુ એવું વિચારે છે કે ભારતમાં મુસ્લિમો ન હોવા જોઈએ તો તે હિન્દુ જ રહેતો નથી.
આ નિવેદન વિશે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘અમે સરસંઘચાલકના નિવેદન પર કોઈ ટિપ્પણી કરતા નથી, પરંતુ તેમણે રજૂ કરેલો સિદ્ધાંત સંપૂર્ણપણે સત્ય છે. હિન્દુત્વનો આત્મા શું છે? એ સહનશીલતા છે. આપણી સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન છે અને એનું કારણ એ છે કે આપણે અનેક વિદેશી આક્રમણો સામે પણ આપણી સંસ્કૃતિ અને મૂલ્યોને સહનશીલતાથી ટકાવી રાખ્યાં છે. હિન્દુ ધર્મે બહારથી આવેલા આક્રમણકારોથી લઈને વિશ્વભરમાંથી તરછોડાયેલા યહૂદીઓ અને ઈરાનથી આવેલા ભાઈઓને પણ પોતાની સંસ્કૃતિમાં સમાવી લીધા છે. એટલે જ હું હંમેશાં કહું છું કે હિન્દુઓને ધાર્મિક સહિષ્ણુતા શીખવવાની જરૂર નથી, સહનશીલતા હિન્દુઓના લોહીમાં છે.’
દેવેન્દ્ર ફડણવીસે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે ‘સહનશીલતાનો અર્થ ચૂપચાપ માર ખાવાનો નથી. એનો અર્થ દરેકને સમાન ગણવાનો છે. જો તમારા પર કોઈ હુમલો કરે તો તેનો સામનો કરવો જ જોઈએ, પરંતુ હિન્દુ ક્યારેય સામેથી પહેલો હુમલો કરતો નથી. હિન્દુ હંમેશાં સૌને સાથે લઈને આગળ વધવામાં માને છે.’