મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસના પ્રવાસના સમયમાં ફેરફાર

06 October, 2022 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેએ નવી શરૂ થયેલી મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસના સમયમાં બુધવારથી વધુ ઘટાડો કર્યો હતો.

મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસના પ્રવાસના સમયમાં ફેરફાર

મુંબઇ (પી.ટી.આઇ) : વેસ્ટર્ન રેલવેએ નવી શરૂ થયેલી મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસના સમયમાં બુધવારથી વધુ ઘટાડો કર્યો હતો. હવેથી મુંબઈ સેન્ટ્રલથી ગુજરાતના ગાંધીનગર સુધીનું અંતર કાપતાં લાગતા સમયમાં પાંચ મિનિટનો ઘટાડો થશે અને ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વીસ મિનિટ વહેલી પહોંચશે એમ વેસ્ટર્ન રેલવેએ એક યાદીમાં જણાવ્યું હતું.
પહેલી ઑક્ટોબરથી શરૂ થયેલી ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે ૬.૧૦ વાગ્યે ઊપડે છે અને ગાંધીનગરથી બપોરે ૨.૦૫ વાગ્યે ઊપડે છે એ સમયપત્રકમાં કોઈ ફેરફાર કરાયો નથી, પણ ટ્રેનના રૂટ પર આવતાં તમામ સ્ટેશનો પર આગમનનો સમય બદલાઈ ગયો છે.
નવા સમયપત્રક પ્રમાણે વંદે ભારત એક્સપ્રેસ અત્યારે બપોરે ૧૨.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચે છે, એને બદલે હવેથી બપોરે ૧૨.૨૫ વાગ્યે પહોંચશે તથા હાલમાં આ ટ્રેન રાતે ૮.૩૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે એને બદલે રાતે ૮.૧૫ વાગ્યે પહોંચશે.

mumbai news mumbai