મુંબઈમાં કન્સ્ટ્રક્શનના કામ પર ૧૦ દિવસનો પ્રતિબંધ

14 December, 2022 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બગડી રહેલી ઍર ક્વૉલિટી અને મુંબઈમાં G20ના આયોજનને લઈને સુધરાઈએ લીધો નિર્ણય

G20 સમિટ દરમ્યાન ગઈ કાલે એના ડેલિગેટ્સે ગેટવે ઑફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતા (તસવીર : આશિષ રાજે)

હાલ વાદળિયા વાતાવરણને કારણે મુંબઈમાં ઍર પૉલ્યુશનમાં ધૂળનો જબરદસ્ત વધારો નોંધાયો છે. હવાની ગુણવત્તાના એકમ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ)માં પણ જબરદસ્ત વધારો નોંધાયો છે અને એ દિલ્હી કરતાં પણ ખરાબ હોવાનું જણાઈ આવ્યું છે. એમાં પાછું હાલ મુંબઈમાં ૧૩થી ૧૬ ડિસેમ્બર સુધી G-20 ઇન્ટરનૅશનલ સમિટ ચાલી રહી છે અને અનેક દેશોના મહાનુભાવો અને ડેલિગેટ્સ એમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે ઍટ લીસ્ટ આ સમય દરમ્યાન મુંબઈમાં હવાની ગુણવત્તા વધુ ન કથળે એ માટે બીએમસીએ મુંબઈમાં ચાલી રહેલાં કન્સ્ટ્રક્શનનાં બધાં જ કામ પર ૧૦ દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે.

બીએમસી દ્વારા આ વિશેનો એક સર્ક્યુલર ૨૪ વૉર્ડના દરેકેદરેક અસિસ્ટન્ટ કમિશનરને મોકલવામાં આવ્યો છે અને તેમના વિસ્તારના કન્સ્ટ્રક્શનનાં બધાં જ કામ અને એના કાટમાળના નિકાલનું કામ ૧૦ દિવસ રોકી દેવા જણાવ્યું છે. એટલું જ નહીં, વરસાદના સમયમાં મોટા ભાગનાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને કન્સ્ટ્રક્શનનાં કામ બંધ રહેતાં હોય છે અને દિવાળી પછી એ કામ હાથ ધરાતાં હોય છે જેના કારણે પણ વાતાવરણમાં ધૂળનું પ્રમાણ બહુ વધી જતું હોય છે. ઍર ક્વૉલિટી સુધરે અને વિદેશી મહાનુભાવોની નજરમાં મુંબઈની ઇમેજ બગડે નહીં એ માટે આ નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, જે ટ્રાફિક જંક્શનો પર વધુ ટ્રાફિક રહેતો હોય ત્યાં બહુ ધૂળ ઊડે નહીં એ માટે પાણી છાંટવાનું પણ બીએમસીએ એના સ્ટાફને જણાવ્યું છે. મુંબઈનો ઍવરેજ એક્યુઆઇ સોમવારે ૨૨૫ નોંધાયો હતો, જ્યારે ગઈ કાલે મંગળવારે બીએમસી દ્વારા પગલાં લેવાયા બાદ ઍવરેજ એક્યુઆઇ ૧૪૫ નોંધાયો હતો.

mumbai mumbai news air pollution brihanmumbai municipal corporation