BJPનો ૪૬મો સ્થાપનાદિવસ : મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં થઈ ભવ્ય ઉજવણી, દરેક બૂથસ્તરે નેતાઓએ કર્યું ધ્વજવંદન

07 April, 2026 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખા મહારાષ્ટ્રમાં પાર્ટીની ઑફિસોને શણગારવામાં આવી હતી અને દરેક બૂથસ્તરે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

આશિષ શેલારે તેમના ઘરના બિલ્ડિંગ પર BJPનો ધ્વજ લહેરાવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૪૬મા સ્થાપનાદિવસ નિમિત્તે ગઈ કાલે મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે BJPના સ્ટેટ પ્રેસિડન્ટ રવીન્દ્ર ચવાણે મુંબઈસ્થિત પાર્ટીના હેડક્વૉર્ટર ખાતે પક્ષના નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા દ્વારા તમામ કાર્યકરોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે કાર્યકરોની સેવા, શિસ્ત અને પ્રતિબદ્ધતા જ આ ચળવળના સાચા સ્તંભ છે.

આખા મહારાષ્ટ્રમાં પાર્ટીની ઑફિસોને શણગારવામાં આવી હતી અને દરેક બૂથસ્તરે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અનેક કાર્યકરોએ પોતાના નિવાસસ્થાને પણ BJPનો ધ્વજ લગાવીને ઉજવણી કરી હતી.

નાગપુર ખાતે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ધ્વજવંદન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે ‘BJPનો ઉદ્દેશ રાષ્ટ્રનું પુનઃ નિર્માણ કરવાનો અને ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. આ દિશામાં ઘણું કામ થયું છે અને આજે અમે ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે.’

mumbai news mumbai bhartiya janta party bjp bharatiya janata party political news devendra fadnavis nitin gadkari